નવી દિલ્હી: તિહાડ જેલમાં આજે નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચારેય દોષીતોને ફાંસી આપવામાં આવી. દેશભરમાં લોકો ફાંસી આપવામાં આવી તેનો જશ્ન મનાવી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ન્યાય થયો. મહિલાઓની ગરિમા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેનું ખૂબ મહત્વ છે.


પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું, ન્યાય થયો, મહિલાઓની ગરિમા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેનું ખૂબ મહત્વ છે. તેમણે આગળ લખ્યું, આપણી નારી શક્તિએ દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આપણે મળીને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જ્યાં મહિલા સશક્તીકરણ પર ધ્યાન આપવામાં આવે અને સમાનતા અને તક પર જોર આપવામા આવે.



દિલ્હીના નિર્ભયા દુષ્કર્મ કેસના દોષિતોને અપાયેલી ફાંસી બાદ તિહાડ જેલ બહાર લોકોએ એક-બીજાને મીઠાઈ ખવડાવી હતી. દોષિતોને મળેલી ફાંસી બાદ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાની સાથે થયેલ ગેંગરેપ અને હત્યાના મામલે ચારેય દોષિતો મુકેશ સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31)ને શુક્રવારે સવારે સાડા પાંચ કલાકે ફાંસી આપવામાં આવી. જેલના મહાનિદેશક ગોયલ અનુસાર દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ તિહાર જેલમાં પ્રથમ વખત ચાર દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી.