ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ગુરૂવારે દાવો કર્યો કે તેમની પાસે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સમર્થન આપી રહેલા એવા 41 ધારાસભ્યોની યાદી છે જે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થવા ઈચ્છે છે. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે.


ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જંગ મહત્વપૂર્ણ બની રહ્યો છે. આ વચ્ચે એક બાદ એક ટીએમસીના ઘણા નેતા ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. તો પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે વધુ એક દાવો કરી મમતા બેનર્જી સહીત ટીએમસીમાં હડકંપ મચાવી દીધો છે.

કૈલાશ વિજયવર્ગીયનુ કહેવુ છે કે, મારી પાસે 41 ધારાસભ્યોની યાદી છે. જે ભાજપમાં આવવા ઈચ્છે છે. હું તેમને ભાજપમાં સામેલ કરીશ તો બંગાળમાં સરકાર પડી જશે. અમે જોઈ રહ્યાં છીએ કે કોને લેવા છે અને કોને નહીં. જો છબી ખરાબ છે તો અમે સામેલ કરીશું નહીં. બધાને લાગી રહ્યું છે કે મમતા બેનર્જીની સરકાર જઈ રહી છે.

આ પહેલા પશ્ચિમ બંગાળના ખાદ્ય અને પુરવઠા પ્રધાન જ્યોતિપ્રિય મલિકે કહ્યુ હતુ કે ભાજપના 6થી 7 સાંસદ ટૂંક સમયમાં ટીએમસીમાં સામેલ થશે. તેમણે દાવો કર્યો કે ભાજપમાં ઘણા લોકો વાપસી માટે ટીએમસીને ભલામણ કરી રહ્યાં છે, પરંતુ અંતિમ નિર્ણય પાર્ટી પ્રમુખ મમતા દીદીના હાથમાં છે, તેમની હા પર આગળનું પગલું ભરવામાં આવશે.