કમલનાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદના લીધા શપથ, શિવરાજસિંહ ચૌહાણ થયા સામેલ
abpasmita.in | 17 Dec 2018 02:47 PM (IST)
ભોપાલઃ રાજસ્થાન બાદ મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ શાસનમાં આવનારી કોગ્રેસના મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યા હતા. કમલનાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલે કમલનાથને શપથ લેવડાવ્યા હતા. કમલનાથના શપથગ્રહણમાં તમામ વિપક્ષી પાર્ટીઓના નેતા હાજર રહ્યા હતા. એનસીપી નેતા શરદ પવાર પણ સમારોહમાં પહોંચ્યા હતા. આ સમારોહમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મનમોહનસિંહ પણ સામેલ થયા હતા. શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ પહોંચ્યા છે. સાથે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ કમલનાથના શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા.ભોપાલના જમ્બૂરી મેદાનમાં કમલનાથ શપથ ગ્રહણ યોજાયા હતા. સાથે મંચ પર તમામ ધર્મોના ધર્મગુરુ પણ હાજર રહ્યા હતા. તેમણે શપથગ્રહણ અગાઉ સર્વધર્મ પ્રાર્થના કરી હતી.