નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ બાદ હવે રાજસ્થાનની ગહલોત સરકાર ઉપર પણ સંકટના વાદળો છવાયેલા લાગી રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગહલોતથી નારાજ કહેવાતા રાજ્યના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના સમર્થનમાં લગભગ 15થી વધુ ધારાસભ્ય દિલ્હીમાં એકઠા થયા છે. રાજસ્થાનમાં ગહલોત સરકાર પર સંકટ દેખાતા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ ચિંતા વ્યક્ત કરી છે.




કપિલ સિબ્બલે ટ્વિટ કરીને લખ્યું કે, 'આપણી પાર્ટી માટે ચિંતિત છું. શું આપણે ત્યારે જાગીશું જ્યારે ચીજો આપણા હાથથી સરકી જશે. કપિલ સિબ્બલે લખ્યું, શું ઘોડા તબેલામાંથી નિકળી ગયા પછી આપણે જાગીશું.' પોતાના ટ્વિટમાં કપિલ સિબ્બલની નારાજગી પણ જોવા મળી રહી છે. તેઓએ પોતાના આ ટ્વિટથી પાર્ટી હાઇકમાન્ડને સંદેશ આપ્યા છે કે સમયસર જો યોગ્ય નિર્ણય ન લેવામાં આવ્યા હોત તો પાર્ટીને ભારે નુકસાન ન ઉઠાવવું પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે સચિન પાયલટ પ્રકરણથી કૉંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાઈ ગયું છે. SOGની એફઆઈઆર અને પૂછપરછના પત્ર બાદ નાયબમુખ્યમંત્રી સચિન પાયલટની નારાજગી વધી ગઈ છે. જોકે, SOGએ મુખ્યમંત્રીને પણ આવો પત્ર મોકલ્યો છે, પરંતુ હવે પાયલટ કૉંગ્રેસ હાઇકમાન્ડને મળી પોતાનો પક્ષ રજૂ કરવા માંગે છે.