નવી દિલ્હીઃ કર્ણાટકમાં 22 દિવસથી એકલા જ સરકાર ચલાવી રહેલા મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાને ભાજપના  રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફથી 20 ઓગસ્ટના રોજ મંત્રીમંડળનો વિસ્તાર કરવાની લીલી ઝંડી મળી ગઇ છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું કે, ભાજપ ધારાસભ્યોની બેઠક મંગળવારે સવારે 10 વાગ્યે થશે. આ દિવસે બપોરે મંત્રીમંડળનો વિસ્તાર કરાશે. આ અગાઉ યેદિયુરપ્પાએ ગુરુવારે દિલ્હી માટે રવાના થતા અગાઉ કહ્યુ હતું કે, તે અમિત શાહ સાથે વાત કરીને મંત્રીમંડળના વિસ્તારને અંતિમ રૂપ આપશે.

ભાજપના સૂત્રોના મતે 13 મંત્રીઓ મંગળવારે પદ અને ગુપ્તતાના શપથ લઇ શકે છે. રાજ્યમાં મંત્રીઓની મહતમ સંખ્યા 34  હોઇ શકે છે અને  એવામાં બાકી મંત્રીઓને બાદમાં મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. સૂત્રોના મતે મંત્રીમંડળના વિસ્તરણમાં મોડુ થયુ છે કારણ  કે પાર્ટી સંભવિત મંત્રીઓના નામ નક્કી કરી શકી રહી નહોતી.

પાર્ટી સૂત્રોના મતે સૌથી મોટો પડકાર જાતીય સમીકરણ છે.  પાર્ટીના કુલ ધારાસભ્યોમાં 39 લિંગાયત સમુદાયમાંથી આવે છે. મુખ્યમંત્રી પોતે  પણ આ સમુદાયના છે. પાર્ટીના મંત્રીમંડળમાં દલિત સમુદાય, અનુસૂચિત જનજાતિ, બ્રાહ્મણ અને અન્ય પછાત જાતિઓને  પ્રતિનિધિત્વ આપવાનું છે. છેલ્લી કોગ્રેસ  અને જેડીએસ સરકારમાં અયોગ્ય ઠેરવાયેલા 17 ધારાસભ્યોને પણ સરકારમાં સમાવેશ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે યેદિયુરપ્પાએ 26 જૂલાઇના રોજ ચોથીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને 29 જૂલાઇએ વિધાનસભામા વિશ્વાસમત હાંસલ કર્યો હતો.