બેંગલુરુ: કોરોના વાયરસના સંકટ વચ્ચે લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને અવગણીને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પોતોના પુત્ર નિખિલ કુમારસ્વામીના લગ્ન શુક્રવારે યોજ્યા હતા. નિખિલના લગ્ન કૉંગ્રેસ નેતા એમ કૃષ્ણપ્પાની પૌત્રી રેવતી સાથે કરવામાં આવ્યા. આ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.


લોકડાઉનના ઉલ્લંઘન મામલે રાજ્યના ઉપમુખ્યમંત્રી સીએન અશ્વત્થનારાયણે કહ્યું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “રામનગર ડેપ્યૂટી કમિશ્નર પાસેથી આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. હું પોલીસ સુપરિન્ટેન્ડેટ સાથે વાત કરીશ.” લગ્ન પહેલા કહેવામાં આવ્યું હતું કે માત્ર ઘર પરિવારના લોકો જ સામેલ થશે.



ઉલ્લેખનીય છે કે, કુમારસ્વામીના પુત્રની સગાઈ 10 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. જો કે લોકડાઉનના કારણે લગ્ન ટાળવામાં નથી આવ્યા. કુમારસ્વામીએ કહ્યું હતું કે, આદેશના કારણે લગ્ન ફાર્મ હાઉસમાં કરવામાં આવી રહ્યાં છે.

લગ્નનું આયોજન કર્ણાટકની રાજધાની બેંગલુરુથી 28 કિલોમીટર દૂર રામનાગરા સ્થિત ફાર્મહાઉસમાં કરવામાં આવ્યું હતું. સમારોહના ફોટા પરથી સ્પષ્ટ નજર આવે છે કે કોઈએ માસ્ક અથવા ગ્લવ્ઝ નહોતા પહેર્યા અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન પણ નહોતું કર્યું.



આ પહેલા કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, મારા પુત્રના લગ્ન 17 તારીખના રોજ નક્કી થયા હતા. લગ્ન ભવ્ય રીતે થવાના હતા પરંતુ સરકારની ગાઈડલાઈનના કારણે તેમ નથી થયા. આ લગ્નમાં માત્ર પરિવારના લોકોજ સામેલ થયા છે.

જણાવી દઈએ કે, 2019માં રાજનીતિમાં પગ મુકનાર નિખિલ લોકસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપ સમર્થિત અપક્ષના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. નિખિલ કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.