ગોપેશ્વર: ઉત્તરાખંડમાં સ્થિત ભગવાન શિવના ધામ કેદારનાથના કપાટ શિયાળામાં 6 મહિના સુધી બંધ રહ્યાં બાદ આ વર્ષે 29 એપ્રિલના રોજ શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આ મંદિરના કપાટ 29 એપ્રિલે સવારે 6 વાગીને 10 મિનેટ ખોલી દેવામાં આવશે. રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત પવિત્ર ધામના કપાટ ખોલવાની તિથિ અને સમયનો શુભ મુહૂર્ત શુક્રવારે મહાશિવરાત્રિના પાવન પર્વ પર ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં કાઢવામાં આવ્યું હતું.


શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ મોહન પ્રસાદ થપલિયાલે જણાવ્યું કે, કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલે વિધિવત પૂજા અર્ચના બાદ સવારે ખોલવામાં આવશે. બદ્રીનાથના કપાટ 30 એપ્રિલના રોજ સવારે સાડા ચાર વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

ગઢવાલ હિમાલય પહાડોની વચ્ચે આવેલા ચાર ધામમાંથી એક પ્રસિદ્ધ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ શિયાળમાં ભારે બરફવર્ષા અને ઠંડીના કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ કરવામાં આવે છે. જે આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે.