Kerala Blast: કેરળના કલામાસેરીમાં કન્વેન્શન સેન્ટરમાં થયેલા બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, "સ્પેશિયલ સેલ ગુપ્તચર એજન્સીઓના સતત સંપર્કમાં છે અને કોઈપણ ઇનપુટને હળવાશથી લેવામાં આવશે નહીં. ભીડવાળી જગ્યાઓ પર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભીડવાળી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે."


 






દિલ્હી ઉપરાંત મુંબઈને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. યહૂદી ધાર્મિક સ્થળો પર પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. કોચીમાં થયેલા વિસ્ફોટ બાદ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને કાઉન્ટર ટેરર ​​ATCની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. વિસ્ફોટ પાછળ IEDની હાજરી હોવાની આશંકા છે. તો બીજી તરફ તમિલનાડુંમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર દેશની એજન્સીઓ સતર્ક બની ગઈ છે.


કેરળમાં બોમ્બ વિસ્ફોટો બાદ ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે તમામ જિલ્લામાં એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. યુપી એટીએસને પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોમાં મળેલા ઈનપુટની તપાસ માટે તેની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ સાથે જોડાયેલા દરેક કાર્યક્રમ પર નજર રાખવી જોઈએ. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લોકો તેમજ વર્ચ્યુઅલ રીતે જોડાયેલા લોકો વિશે સંપૂર્ણ માહિતી એકત્ર કરવી જોઈએ.


વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું કે કોચીમાં ખ્રિસ્તી સમુદાયની પ્રાર્થના સભામાં બોમ્બ વિસ્ફોટ એ હૃદયદ્રાવક ઘટના છે. તે ચિંતાજનક છે કે કેરળ એક એવી જગ્યા બની રહ્યું છે જ્યાં આવી ઘટનાઓ બની રહી છે. ગૃહમંત્રી પહેલાં જ કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી ચૂક્યા છે. મેં પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી.


મુખ્યમંત્રીએ શું કહ્યું?


 






કોચી બ્લાસ્ટ પર કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે ઘટના અંગે વિગતો એકઠી કરી રહ્યા છીએ. તમામ ઉચ્ચ અધિકારીઓ એર્નાકુલમમાં છે. ડીજીપી ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. અમે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં ડીજીપી સાથે વાત કરી છે. તપાસ બાદ વધુ માહિતી મેળવવાની જરૂર છે.