નવી દિલ્હીઃ કેરળમાં પૂરમાં સંયુક્ત આરબ અમીરાત સહિત અનેક દેશો દ્ધારા આર્થિક મદદને લઇને દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે યુએઇએ કેરળને 700 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે પરંતુ હવે એક ચોંકાવનારું નિવેદન યુએઇ સરકારે આપ્યું છે. યુએઇ સરકારના કહેવા પ્રમાણે, તેણે ક્યારેય પણ આ પ્રકારની સતાવાર જાહેરાત કરી નથી.


એક ન્યૂઝપેપરના કહેવા પ્રમાણે, યુએઇના ભારતમાં રાજદૂત અહમદ અલબન્નાએ કહ્યું કે, યુએઇ દ્ધારા નાણાકીય મદદ માટે કોઇ રકમ આપવાની જાહેરાત કરી નથી. અલબન્નાએ કહ્યું કે, પૂર અને ત્યારબાદની સ્થિતિમાં કેટલી રકમની સહાયની જરૂર છે તેની આકલન કરવામાં આવી રહ્યું છે. નાણાકીય મદદના રૂપમાં કોઇ રકમ હાલમાં અંતિમ હોઇ શકે નહી કારણ કે આકલન હાલમાં ચાલી રહ્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેનો અર્થ એ થયો કે યુએઇએ 700 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી નથી તો તેમણે કહ્યું કે, હા એ વાત સાચી છે. આ કોઇ નક્કી રકમ નથી. હાલમાં તેની જાહેરાત કરવામાં આવી નથી.

અગાઉ રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મદદ કરવા માટે યૂએઈ સહિત અંતરરાષ્ટ્રીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી જાણકારી આપી છે કે આ મુદ્દે યૂએઈના ક્રાઉન પ્રિન્સે પીએમ મોદી સાથે વાત કરી છે. યૂનાઈટેડ અરબ અમીરાતે કેરળને 700 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે આગળ કહ્યું કે રાજ્યને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ઘણા લોકોએ હાથ આગળ વધાર્યો છે.

બાદમાં ભારતીય  વિદેશ મંત્રાલયે આવી કોઇ મદદ લેવાનો ઇનકાર કરતા કહ્યું કે, ભારત સરકારની નીતિ રહી છે કે કોઇ પણ કુદરતી આપત્તિમાં કોઇ પણ બીજા દેશની મદદ લેવામાં આવશે નહીં. વાસ્તવમાં કુદરતી આપત્તિમાં સહાયતાને લઇને થોડા વર્ષો અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જાહેરાત કરી હતી કે ભારત કોઇ પણ કુદરતી આફતમાં બીજા દેશની આર્થિક મદદ નહી લે.