Kerala Heavy Rain: કેરળમાં વરસાદને કારણે ભારે તબાહી મચી ગઈ છે. કેરળના  ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગુમ છે. કોટ્ટાયમમાં વરસાદની વધારે અસર જોવા મળી રહી છે. કોટ્ટાયમમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે ઇડુક્કીમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય અલ્લાપ્પુઝા જિલ્લામાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે, વરસાદને કારણે પઠાણમથિટ્ટા અને ઇડુક્કીમાં સ્થિતિ ઘણી ખરાબ છે.


રાહત અને બચાવ કામગીરી ચાલુ


વરસાદને કારણે કુદરતના હાહાકારનો સામનો કરી રહેલા કેરળના ઘણા જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વાયુસેના પણ મદદ માટે મેદાનમાં ઉતરી છે. આ સિવાય NDRF ની 11 ટીમો લોકોને મદદ કરવા માટે તૈનાત કરવામાં આવી છે. કોટ્ટાયમ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે.


કોટ્ટાયમમાં વરસાદને કારણે નદીઓ ઉથલપાથલમાં છે અને નદીઓના કિનારે બનેલા ઘણા મકાનો તૂટી પડ્યા છે. પાણીના પ્રવાહને કારણે મોટા વાહનો તણાયા હતા.  નદી કિનારે પણ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે.


કેરળના કોટ્ટાયમ, પથનમથિટ્ટા, એર્નાકુલમ, ઇડુક્કી અને ત્રિશૂરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, પલક્કડ, મલાપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડનો સમાવેશ થાય છે.  ભારે વરસાદ બાદ કેરળના 5 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 


પીએમ મોદીએ કેરળના સીએમ સાથે વાત કરી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશી આફત વચ્ચે કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું, "કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે કેરળના મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. ઘાયલો અને અસરગ્રસ્તોની મદદ માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવામાં આવી રહ્યું છે. હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું."



પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારાઓ માટે દુખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વિટ કર્યું, "કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જાનહાનિને જોતા દુખ થાય છે. શોકગ્રસ્ત પરિવારો માટે સાંત્વના."