નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈના ડાયરેક્ટર પદને લઈને આજે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઋષિકુમાર શુક્લા સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમને સીબીઆઈમાં પણ કામ કરવાનો અનુભવ છે.


શુક્લાનો જન્મ 23 ઑગસ્ટ, 1960નાં રોજ થયો હતો. આઈપીએસની તાલિમ મેળવ્યા બાદ શુક્લાનું પ્રથમ પોસ્ટિંગ રાયપુર જિલ્લામાં SP તરીકે થયું હતું ત્યારબાદ તેઓ શિવપુરીના એસએસપી તરીકે નિમાયા હતા. વર્ષ 1987માં પ્રથમવખત તેમની નિમણૂક જિલ્લા પોલીસ વડા તરીકે થઈ હતી. શુક્લાને ત્યારે એસ.પી.નું પદ સોંપાયું હતું. એસ.પી. તરીકે તેમને એમ.પી.ના દમોહ જિલ્લામાં નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ તેઓ શિવપુરી, મંદસોરના એસ.પી. રહ્યા હતા અને ઈંદોર પીટીએસમાં પણ એસ.પી. તરીકે નિયુક્ત થયા હતા.

વર્ષ 1992થી વર્ષ 1996 દરમિયાન શુક્લા કેન્દ્રમાં નિયુક્ત થયા હતા. કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન તેઓ સીબીઆઈમાં ફરજ બજાવી ચુક્યા છે. મધ્ય પ્રદેશમાં પરત ફર્યા બાદ તેમને એઆઈજી પ્રસાશન અને ડીઆઈજી સુરક્ષાની મહત્ત્તવપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી. વર્ષ 2004માં ફરી એક વાર તેમની કેન્દ્રમાં નિમણૂક થઈ હતી અને વર્ષ 2007માં મધ્ય પ્રદેશમાં પાછા ફર્યા હતા.

ભોપાલમાં આઈજી સીબીઆઈ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. મધ્ય પ્રદેશ પરત ફર્યા બાદ આઈજી એફએએફ ભોપાલ, આઈજી સુરક્ષા એસટીએફના પદ પર ફરજ બજાવી હતી. ત્યારબાદ આરકે શુક્લાએ એડીજી ઇન્ટેલિજન્સ, એડીજી એસએએફ, ડીજી હોમગાર્ડ, અન પોલીસ હાઉસિંગ કોર્પોરેશન અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. વર્ષ 2009થી વર્ષ 2012 દરમિયાન તેઓ ઇન્ટેલિજન્સના એ.ડી.એજી રહ્યા હતા.