શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામા સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધરીને હિઝબુલનો કમાન્ડર રીયાઝ નાઈકુ ઠાર થયો હતો. હિઝબુલના ઓપરેશન કમાન્ડર રીયાઝ પર સરકારે 12 લાખનું ઈનામ જાહેર કર્યુ હતું. છેલ્લા 8 વર્ષથી તે ફરાર હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં અવંતીપોરા વિસ્તારમાં બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રહેલો રીયાઝ નાઈકુ તેના વતન બેગપુરામાં આવ્યો હતો અને આ સમયે સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધરી તેને ઠાર કર્યો હતો.


રિયાઝ નાયકુને A++ કેટેગરીનો આતંકવાદી ગણાવવામાં આવ્યો હતો અને તેના પર 12 લાખ રૂપિયાનું ઇનામ હતુ. એક સમયે નાયકૂ ગણિતનો શિક્ષક હતો અને પછી તે આતંકવાદી બન્યો. રિયાઝ અહમદ નાયકૂ (35) ઘણા ઓછા સમયમાં હિઝબુલનો મહત્વનો ભાગ બની ગયો હતો.

પોલીસ ઑફિસરોનાં પરિવારનાં લોકોનું અપહરણ, આતંકીનાં મરવા પર બંદૂકોથી સલામી આ પ્રથાઓને તેણે જ શરૂ કરી હતી, જેના કારણે હિઝબુલ વધારે ખતરનાક બનતુ જઇ રહ્યું હતુ. પોતાની છબિનાં કારણે નાયકૂએ કાશ્મીરી યુવાઓને આતંકનાં રસ્તે લાવ્યા. ગત વર્ષે રિયાઝ અહમદ નાયકૂનાં પિતાએ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતુ. જેમાં તેણે જણાવ્યું હતુ કે, તેમનો દીકરો નાયકૂ એન્જિનિયર બનવા ઇચ્છતો હતો. તે મેથ્સમાં સારો હતો અને તેને કન્સ્ટ્રક્શનનાં કામમાં રસ હતો.

પરિવાર સાથે વાતચીતમાં સામે આવ્યું કે તેના પિતા તેને ત્યારે જ મરેલો માની ચુક્યા હતા જ્યારે તે હિઝબુલમાં સામેલ થયો હતો. પરિવાર આખા ઇન્ટરવ્યૂમાં એ રીતે વાત કરે છે જાણે તેમનો દીકરો ત્યારે જ તેમના માટે મરી ગયો છે. તેના પિતા કહે છે કે, “તેને 12 ધોરણમાં 600માંથી 464 માર્ક્સ આવ્યા હતા. તે પ્રાઇવેટ સ્કૂલમાં ગણિત પણ ભણાવવા લાગ્યો હતો.” પછી એવું શું કે સ્કૂલનો ટીચર અચાનક આતંકવાદી બની ગયો?

આ બધું શરુ થયું વર્ષ 2010માં. એ વર્ષે પ્રદર્શનમાં 17 વર્ષનાં અહમદ મટ્ટોનું ટિયર ગેસનાં ગોળાનાં કારણે મોત થયું. આ મોત બાદ જાણે ખીણમાં ઘણું જ બદલાઈ ગયું. અનેક લોકોને પોલીસે પકડ્યા. નાયકૂ પણ તેમાંથી એક હતો. 2012માં તેને છોડવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધી તે બિલકુલ બદલાઇ ગયો હતો. ત્યારબાદ 2012નાં તેણે ભોપાલ યૂનિવર્સિટીમાં આગળનાં અભ્યાસ માટે એડમિશન લેવા માટે તેના પિતા સાથે 7 હજાર રૂપિયા લીધા. ત્યારબાદ તે ક્યારેય જોવા મળ્યો નહીં. મહિના પછી ખબર પડી કે તેમનો દીકરો આતંકવાદી બની ગયો છે.

પોલીસ પર પ્રેશર બનાવવા માટે ‘અપહરણ દિવસ’ની શરુઆત નાયકુએ કરી હતી. સાઉથ કાશ્મીરમાં આ દિવસે 6 પોલીસવાળાઓનાં 11 ફેમિલી મેમ્બરને કિડનેપ કરવામાં આવ્યા હતા. તમામને બાદમાં છોડવામાં આવ્યા હતા, પરંતુ બદલામાં નાયકુનાં પિતાને પોલીસ કસ્ટડીમાંથી છોડવામાં આવ્યા હતા. નાયકૂએ જ ગન સેલ્યૂટ ફરીથી શરુ કરાવી હતી, જેને આતંકવાદી પોતાના કમાન્ડરનાં મોત પર આપે છે. આમાં મરેલા આતંકવાદીઓનાં અંતિમ સંસ્કાર દરમિયાન હવામાં ગોળી ચલાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

નાયકુ 2016માં બુરહાન વાનીનાં મોત બાદ ત્યાંનાં લોકો માટે આતંકનો નવો ચહેરો બન્યો હતો. તે અવંતીપોરાનો જ રહેવાસી હતો. ગત વર્ષે આતંકવાદી સબજાર ભટનાં મોત બાદ તેને હિઝબુલ મુઝાહિદ્દીનનો કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. આ પહેલા પણ તેને ઘણીવાર ઘેરવામાં આવ્યો હતો, પરંતુ તે બચીને ભાગવામાં સફળ રહ્યો હતો. ગત વર્ષે નાયકૂ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં તેણે કાશ્મીરી પંડિતોનું ખીણમાં સ્વાગત કર્યું અને કહ્યું કે તે લોકો પંડિતોનાં દુશ્મન નથી.

જુન 2019માં ઇસ્લામિક સ્ટેટથી જોડાયેલા સંગઠને નાયકુને કાફિર કહ્યો હતો. જ્યારે આતંકવાદી આદિલ અહમદ ડારનાં મોત પર હંગામો મચ્યો હતો. આતંકવાદી સંગઠનનાં પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આદિલ રહમાન ડારનાં વિશે મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે એક AK-47 રાઇફલને લઇને લશ્કર સાથે વિવાદ થયો હતો, જ્યારે હકીકત એ છે કે તેની હત્યા કરવામાં આવી હતી. પ્રવક્તાએ પોતાનું નામ ખતીબ જણાવ્યું હતુ. તેણે જણાવ્યું કે ત્રણ હિઝબુલ અને લશ્કર આતંકવાદીઓએ એક ષડયંત્ર અંતર્ગત બિજબેહરાએ આદિલની હત્યા કરી દીધી. ખતીબે રિયાઝ હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુને કાફિર ગણાવતા કહ્યું કે તેની પાસે નાયકુની હકીકત સામે લાવવા માટેનાં સબૂત છે કે ભારતીય એજન્સીઓએ આદિલને નથી માર્યો.

ગર્લફ્રેન્ડને મળવા આવવાના કારણે અગાઉ બુરહાન વાની સહિતના ઘણા આતંકી ઠાર થયા હતા. રિયાઝ ગામમાં પરિવાર અને ગામવાસીઓને મળવા આવ્યો હતો. આ વખતે સુરક્ષાદળોએ બાતમીના આધારે તેને ચોમેરથી ઘેરી લીધો હતો અને ઠાર થયો હતો. આ પહેલા અબુ  દુજાના, ઉમર માજિદ ગની, અબ્દુલ્લા ઉની, ઉમર ખાલીદ સહિતના આતંકી ગર્લફ્રેન્ડને મળવા આવ્યા ત્યારે બીજી ગર્લફ્રેન્ડે ભાંડો ફોડી નાંખ્યો હતો અને મોતને ભેટ્યા હતા.