નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત 8 કરોડ પ્રવાસી મજૂરોને ફ્રીમાં રાશન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. જેનો લાભ અત્યાર સુધીમાં 28 ટકા લાભાર્થીને જ મળ્યો છે. થોડા દિવસ પહેલા ખાદ્ય મંત્રાલય દ્વાર ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે.


પીઆઈબી ઈન ગુજરાતના ટ્વિટર હેન્ડલની પોસ્ટ પ્રમાણે, પ્રવાસી મજૂરોને રાશનકાર્ડ વગર પણ ફ્રીમાં અનાજ આપવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ કેન્દ્ર સરકારે આવા લાભાર્થીઓની ઓળખની જવાબદારી રાજ્યો પર છોડી દીધી હતી. પરંતુ સ્કીમની જાહેરાત થઈ ત્યાં સુધીમાં મોટાભાગના પ્રવાસી મજૂરો તેમના ગૃહ રાજ્યમાં પહોંચી ગયા હતા. હજુ ફાઇનલ આંકડા મેળવવામાં આવી રહ્યા છે.



મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન રાજ્યોને આત્મ નિર્ભર ભારત સ્કીમ હેઠળ 8 લાખ મેટ્રીક ટન અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. જેમાં  7 લાખ મેટ્રિક ટન ચોખા અને એક લાખ મેટ્રિક ટન ઘઉં હતા. જેમાંથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કુલ જથ્થાના 80 ટકા એટલે કે 6.36 લાખ મેટ્રિક ટનનો ઉપાડ કર્યો હતો. પોતાના ક્વોટાનું પૂરું અનાજ ઉપાડનારા 26 રાજ્યોએ અનાજનું વિતરણ કર્યુ નથી.

આ અંગે મિનિસ્ટર ઓફ કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન મંત્રી રામ વિલાસ પાસવાનના કહેવા મુજબ, ઘણા રાજ્યોએ ગરીબોને અનાજનું પૂરતું વિતરણ નથી કર્યુ તે ચિંતાનો વિષય ચે. રાજ્યોએ ગરીબો પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ. અમને રાજ્યોને ફ્રીમાં અનાજ આપવામાં પરેશાની નથી, તો રાજ્યોને વિતરણ કરવામાં શું સમસ્યા છે. આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

લોકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લોકોને ફ્રી અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાને નવેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી હોવાની તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી હતી.