પટનાઃ ઘાસચારા કૌભાંડ સંબંધિત ચાઇબાસા ટ્રેઝરી મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટે જામીન આપી દીધા છે. જોકે, લાલુ પ્રસાદ હજુ જેલમાં જ રહેશે કેમકે દુમકા કોષાગાર કેસ હજુ પેન્ડિંગ છે.


ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડના ત્રણ જુદાજુદા કેસમાં 14 વર્ષ સુધીની જેલની સજા મળ્યા બાદ 23 ડિસેમ્બર, 2017થી ઇલાજ માટે ન્યાયિક કસ્ટડીમાં ઝારખંડના સૌથી મોટી ચિકિત્સા સંસ્થાન રાજેન્દ્ર આર્યુવિજ્ઞાન સંસ્થાન (રિમ્સ)માં ભરતી છે. થોડાક મહિનાઓ પહેલા લાલુ પ્રસાદ યાદવને કથિત રીતે કોરોના વાયરસ સંકટથી બચાવવા માટે રિમ્સ નિદેશકના બંગલામાં શિફ્ટ કરવામા આવ્યા છે.

નોંધનીય છે કેક સપ્ટેમ્બર 2013માં ઘાસચારા કૌભાંડના પહેલા કેસમાં દોષી ઠર્યા બાદ તે 2014માં જામીન પર જેલ બહાર આવ્યા હતા, પરંતુ એકવાર ફરીથી 23 સપ્ટેમ્બર, 2017એ લાલુ પ્રસાદ યાદવને બીજા એક ઘાસચારા કૌભાંડમાં સજા સંભળાવ્યા બાદ બિરસામુંડા જેલ મોકલવામાં આવ્યા, અને ત્યારથી તે જેલમાં બંધ છે. હાલ લાલુ પ્રસાદ યાદવ ન્યાયિક કસ્ટડીમાં રિમ્સમાં ઇલાજ કરાવી રહ્યાં છે.