નવી દિલ્હીઃ તિહાડ જેલમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને આજે સવારે 5.30ના ટકોરે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા. વારંવાર ફાંસી ટાળ્યા બાદ આખરે નિર્ભયાને ન્યાય મળી ગયો અને ચારેય આરોપીઓને ફાંસી અપાઇ હતી. જાણો ફાંસી આપતા પહેલા તિહાડ જેલમાં ચારેય આરોપીઓ પાસે જેલમાં શું શું કરાવાયુ હતુ.


તિહાડ જેલમાં ફાંસી પહેલા જ ચારેય આરોપીઓની ઉંઘ ઉડી ગઇ હતી, આખી રાત ચારેયને ઉંઘ ન હતી આવી. જેલ તંત્રએ સવારે 3.15ના ટકોરે ચારેયને ઉઠાડ્યા હતા.

4.00 વાગે ડીજી તિહાડ સંદીપ ગોયલ જેલમાં પહોંચ્યા હતા, અને જલ્લાદ જેલ નંબર ત્રણના ફાંસીઘરમાં પહોંચ્યો હતો. બાદમાં ઉપઅધિક્ષક જેલના રૂમમાંથી ફાંસીના દોરડાનું બૉક્સ લાવ્યા હતા.



બાદમાં ચારેય આરોપીઓને તેમની ઇચ્છા પ્રમાણે અંતિમ પૂજા પાઠ કરવાનુ કહેવામાં આવ્યુ. જેલ તંત્રએ પૂજા કરાવવા માટે એક પંડિતની પણ વ્યવસ્થા કરી રાખી હતી.

ચારેયને નાસ્તો કરવાનું કહેવામાં આવ્યુ હતુ. જલ્લાદે ફાંસીઘરમાં 8 ફાંસીના દોરડા લટકાવ્યા. પછી પશ્ચિમ દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટ જેલ પહોંચ્યા અને ચારેયને તેમની અંતિમ ઇચ્છા પુછી. જેલના ડૉક્ટરોએ ચારેયના સ્વાસ્થ્યનુ પરિક્ષણ અલગ અલગથી કર્યુ. બાદમાં ચારેયને માથા પર કાળુ કપડુ પહેરાવ્યુ હતુ. આમ 5 વાગેને 30 મિનીટે ચારેયને ફાંસી આપી દેવામાં આવી હતી.