નવી દિલ્હીઃ આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્ય સંપન્ન થઇ ગયુ છે, આ કાર્યક્રમને લઇને સામાન્ય માણસથી લઇને ખાસ માણસોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ પ્રસંગે બૉલીવુડની જાણીતી સિંગર લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.


લતા મંગેશકરે ટ્વીટ કરીને લખ્યું- સદીઓથી જોયેલુ અધુરુ સપનુ આજે પુરુ થતુ દેખાઇ રહ્યું છે. સ્વર કોકિલાએ પોતાના ટ્વીટમાં લખ્યું-આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનુ નિર્માણ શરૂ થઇ રહ્યું છે, જેનો તેને ખુબ આનંદ છે.

લતા મંગેશકરે ટ્વીટ કરીને લખ્યું- નમસ્કાર, કેટલાય રાજાઓનો, કેટલીય પેઢીઓનો અને સમસ્ત વિશ્વના રામ ભક્તોનુ સદીઓથી અધુરુ સપનુ આજે સાકાર થતુ દેખાઇ રહ્યું છે. કેટલાય વર્ષોના વનવાસ બાદ આજે અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરનુ પુનર્નિર્માણ થઇ રહ્યું છે, શીલાન્યાસ થઇ રહ્યો છે. આનો મોટો શ્રેય લાલકૃષ્ણ અડવાણીને જાય છે, કેમકે તેમને આ મુદ્દાને લઇને રથ યાત્રા કરીને આખા ભારતમાં જનજાગૃતિ ફેલાવી હતી, અને શ્રેય માનનીય બાલાસાહેબ ઠાકરેજીને પણ જાય છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ લોકોની હાજરીમાં થઇ રહેલા ભૂમિ પૂજન સમારોહ પર ખુશી વ્યક્ત કરતા લતા મંગેશકરે લખ્યું- આજે આ શીલાન્યાસનુ બહુજ મોટુ આયોજન થઇ રહ્યુ છે, તેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી, આરએસએસના સરસંઘ ચાલક માનનીય મોહન ભાગવતજી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદી બેન પટેલજી અને રામ જન્મભૂમિ અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માનનીય યોગી આદિત્યનાથજી અને કેટલાય ગણમાન્ય વ્યક્તિત્વ ઉપસ્થિત હશે. આજે ભલે કોરોનાના કારણે લાખો રામભક્ત ત્યા પહોંચી ના શક્યા હોય પરંતુ તેમના મન અને ધ્યાન શ્રીરામના ચરણોમાં જ હશે. મને આનંદ છે કે આ સમારોહ માનનીય નરેન્દ્ર ભાઇના કર કમલોથી થઇ રહ્યો છે, આજે હુ, મારો પરિવાર અને આખો સંસાર બહુજ ખુશ છીએ, અને માનો આજે દરેક હ્રદય અને શ્વાસ કહી રહ્યો છે જય શ્રીરામ.