અમદાવાદઃ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્કની શરૂઆત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા સંચાલિત આ વ્યવસ્થામાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના એન્ટીબોડી ધરાવતું પ્લાઝમા લઇ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે.


સાજા થયેલા દર્દીઓના શરીરમાં કોરોના વાઇરસ સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. પ્લાઝમા દ્વારા આ એન્ટીબોડીને સાજા થયેલા દર્દીના શરીરમાંથી કાઢી કોરોનાના દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે.

લોહીમાં રક્તકણો અને તેના પ્રવાહીને પ્લાઝમા કહેવામાં આવે છે. સાજા થયેલા દર્દીઓના પ્લાઝમામાં કોરોનાનો પ્રતિકાર કરી શકે તેવા એન્ટીબોડી હોવાનો નિષ્ણાતોનો મત છે. આ પ્રકારના પ્લાઝમાને કન્વેર્લિસેન્ટ પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે.

અમદાવાદ સિવિલમાં ઉભી કરવામાં આવેલ પ્લાઝમાં બેંકમાં કોરોના દર્દી સાજા થઈ જાય એટલે કે રિપોર્ટ નેગેટિવ આવ્યાના 14 કે 28 દિવસ બાદ તેના પ્લાઝમાં લેવામાં આવે છે.

આ માટે જરૂરી છે કે પ્લાઝમા ડોનરની ઉંમર 18થી 65 વર્ષની હોય અને તેનું હિમોગ્લોબિન ઓછામાં ઓછું 12.5 ટકા હોવું જોઈએ. પ્લાઝમા બેંકમાં વ્યક્તિના લોહીમાંથી 500 એમએલ પ્લાઝમાં લેવામાં આવે છે જેમાંથી 200 એમએલના બે ડોઝ કોરોનાના દર્દીને આપવામાં આવે છે અને 100 એમએલ સંશોધન માટે રાખવામાં આવે છે.