નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ શરૂ છે. કોરોના વાયરસ ન ફેલાય તે માટે દેશમાં આશરે દોઢ મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ બધા વચ્ચે સૌથી વધારે અસર પ્રવાસી મજૂરોને થઈ છે. આ મજૂરો તેમનું ઘર છોડીને રોજી રોટી માટે સેંકડો કિલોમીટર દૂર અજાણ્યા શહેરમાં આવ્યા હતા. પરંતુ લોકડાઉનના કારણે વતન પરત ફરી ન શકવાના કારણે તેમની હાલત કફોડી થઈ ગઈ છે. મજૂરોની મજબૂરીઓને લઈ હવે વિપક્ષે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે.


ભાવુક કરી દેતી તસવીર વાયરલ
સોશિયલ મીડિયા પર મજબૂર મજૂરોની વાયરલ તસવીરો જોઈને આંખોમાંથી આંસુ ટપકી પડે છે. આવી જ એક તસવીર હાલ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કેટલાક મજૂરો ટ્રક પર ચઢતા જોવા મળે છે. જેમાં એક આદમી તેના નાના બાળકને એક હાથે પકડીને ટ્રકમાં ચઢી રહ્યો છે. પુરુષો ઉપરાંત મહિલાઓ પણ ઉઘાડા પગે ટ્રક પર ચઢતી જોવા મળી રહી છે. આ તસવીરને લઈ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.

સુરજેવાલાએ કર્યુ ટ્વિટ
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને લખ્યું, "મોદીજી, આ લોકોને જહાજમાં બેસાડવાનું સપનું વેચ્યું હતું ને!"



એક અન્ય ટ્વિટમાં સુરજેવાલાએ લખ્યું, "મોદીજી, આ ચપ્પલવાળા ભારતીય શ્રમિક ભાઈઓ માટે 'બંદે ભારત' કેમ નહીં? તમારી સંવેદનહીનતાથી કરોડો શ્રમિક અસહાયતાનો અનુભવ કરી રહ્યા છે. આજે 8 વાગે તેમના અંગે જણાવો." પ્રધાનમંત્રી મોદી આજે રાતે 8 વાગે ફરી એક વખત દેશને સંબોધન કરશે.


દર્દનાક દુર્ઘટનાનો શિકાર થઈ રહ્યા છે મજૂર
લોકડાઉન લાગુ થયા બાદ વિવિધ રાજ્યોમાંથી પ્રવાસી મજૂરો તેમના ઘરે જઈ રહ્યા છે. કોઈ સાઈકલથી હજારો કિલોમીટરની યાત્રા કરી રહ્યા છે તો ઘણા પગપાળા પરિવાર સાથે ચાલી નીકળ્યા છે. અનેક મજૂરો ભૂખ્યા તરસ્યા સેંકડો કિલોમીટરની સફર કરી રહ્યા છે. તાજેતરમાં ઔરંગાબાદ સહિત અનેક જગ્યાએ મજૂરો સાથે દર્દનાક દુર્ઘટના થઈ છે.