મુંબઈ: લગભગ 2 મહિનાના લાંબા લૉકડાઉન બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 25 મેથી શરૂ થવાની છે. દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ સવારે 4 વાગ્યાને 30 મિનિટ પર ઉડાન ભરશે. પ્રથમ તબક્કામાં 2800 ઉડાનોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ મહારાષ્ટ્રથી હવાઈ યાત્રા કરવાનો પ્લાન બનાવી રહેલા યાત્રીઓને ઝટકો લાગ્યો છે.


મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સામાન્ય ઘરેલુ ઉડાન પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. સરકારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને સૂચના આપતા કહ્યું કે, 25 મેથી મર્યાદિત વિમાન સેવા જ શરૂ થશે. સરકારના નિર્દેશ અનુસાર જે યાત્રી વિદેશથી ભારત આવ્યા છે, એવા યાત્રીઓને મુંબઈથી અન્ય શહેરમાં પહોંચાડવા માટે, મેડિકલ ઇમરજન્સી સેવા, ફસાલેયા વિધ્યાર્થી તથા ઈમરજન્સી જરૂરી કામના આધાર પર જ કોઈ યાત્રીને યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે.

સરકારે મહારાષ્ટ્રમાં 25મે થી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. રાજ્ય સરકારની લોકડાઉન 4.0 માટે જારી કરેલી ગાઈડલાઈનમાં ફ્લાઈટ અને ટ્રેન ન ચલાવવાના નિર્દેશ છે. હાલ આ ગાઈડલાઈનમાં રાજ્ય સરકારે કોઈ ફેરફાર કર્યો નથી.

મહારાષ્ટ્રના મુંબઈ, પુણે અને નાગપુર એરપોર્ટ પર ઘરેલુ ઉડાન માટે તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંજૂરી ન મળતા એરપોર્ટ સ્ટાફ સાથે સાથે મહારાષ્ટ્રથી હવાઈ યાત્રાની યોજના બનાવી રહેલા યાત્રીઓને પણ ઝટકો લાગ્યો છે.