નાગપુરઃ છેલ્લા ઘણા દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ નાગપુરમાં નોંધાયા છે. આ દરમિયાન હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે નાગપુરમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.


ન્યઝ એજન્સી ANIના ટ્વીટ મુજબ નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જરૂરિયાતની વસ્તુઓ ખુલ્લી રહેશે.



નાસિકમાં વીકેંડ લોકડાઉન


આ પહેલા નાસિક જિલ્લા તંત્ર દ્વારા આકરા નિયંત્રણો સાથે વીકેંડ લોકડાઉન નાંખવાની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા તંત્રના કહેવા મુજબ 15 માર્ચ બાદ કોઇ પણ લગ્ન સમારોહને મંજૂરી નહીં આપવામાં આવે. લોકડાઉન દરમિયાન સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી તમામ દુકાનો, શોપિંગ મોલ, કોમ્પલેક્સ બંધ રહેશે. માત્ર જીવનજરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનોને જ છૂટ આપવામાં આવશે.  


થાણેના હોટસ્પોટમાં લોકડાઉન


થાણેમાં કોરોનાને કાબુમાં કરવા તંત્રએ 11 હોટસ્પોટમાં લોકડાઉન લાગુ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ થાણેના 11 હોટસ્પોટમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન નાંખવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં કોરોનાના મામલા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 22,854 કેસ નોંધાયા હતા. જ્યારે 126 લોકોના મોત થયા હતા અને 18,100 લોકો રિકવર થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,12,85,561 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરીનો આંક 1,09,38,146 થયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,89,226 છે. જ્યારે કુલ મૃત્યુઆંક  1,58,189 થયો છે.