ભોપાલ: મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામં મળેલી બેઠકમાં મધ્યપ્રદેશમાં 21 માર્ચે ઈન્દોર, ભોપાલ અને જબલપુરમાં એક દિવસનું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે આ શહેરેમાં સવારથી જ સન્નાટો જોવા મળી રહ્યો છે અને રસ્તાઓ સૂમસામ બન્યા છે. મધ્યપ્રદેશમાં વકરી રહેલા કોરોનાને નાથવા રાજ્ય સરકારે બે દિવસ પહેલા લોકડાઉનની જાહેરાત કરી હતી.


રાજ્ય સરકાર દ્વારા આદેશ અનુસાર, ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા માટે ભોપાલમાં સીએમ શિવરાજસિંહ ચોહાણે ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને તેમાં આ નિર્ણય લેવાયો હતો. શુક્રવારે પશ્ચિમ બંગાળથી પરત આવ્યાં બાદ મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. એક દિવસનું લોકડાઉન છતાં જીવન જરુરિયાતની સેવાઓ ચાલુ રાખવાનો પણ નિર્ણય કરાયો છે.



મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ફરી વાર પરિસ્થિતિ ગંભીર ન બને તે માટે લોકડાઉન જરુરી છે. લોકોને મારી અપીલ છે કે તેઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે. ખોટી ભીડ ન કરવામાં આવે અને કોરોનાને ફેલાતો રોકવામાં તેનું યોગદાન આપે. મુખ્યમંત્રીએ કહ્યું કે જે લોકો માસ્ક પહેરતા નથી તેઓ બીજા લોકોનું જીવન પણ ખતરામા મૂકે છે.


દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. શનિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,953 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી શનિવારે 188 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,15,55,284 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,07,332 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,88,394 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,558 પર પહોંચ્યો છે. દેશમાં 4 કરોડ 20 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે.