Narendra Modi 2024 Lok Sabha Election : 2024ની લોકસભા ચૂંટણીમાં હજુ 390 દિવસ બાકી રહ્યાં છે પરંતુ ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. લગભગ તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી દક્ષિણના રાજગઢમાં ઘૂસવામાં નિષ્ફળ ગયેલી ભાજપ નવી રણનીતિ અપનાવી રહી છે. તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલલાઈએ પીએમ તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો મુદ્દો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો હતો.


અન્નમલલાઈએ એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમિલનાડુમાં કેટલાક લોકો નરેન્દ્ર મોદીને બહારના વ્યક્તિ તરીકે પ્રમોટ કરી રહ્યા છે. પીએમ મોદીએ પ્રાદેશિક અવરોધને પાર કર્યો છે અને તેઓ તમિલનાડુમાં ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 2024ની ચૂંટણી એક અલગ પ્રકારની જ લોકસભાની ચૂંટણી બની રહેશે.


શું પીએમ મોદી તમિલનાડુથી લડી શકે છે ચૂંટણી?


ભાજપમાં કોઈપણ ઉમેદવારને ચૂંટણી લડાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપ સંસદીય બોર્ડમાં દરેક બેઠક પર ચર્ચા કર્યા બાદ ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવે છે. 2019માં પણ પીએમ મોદી ઓરિશાના પુરી અને યુપીના વારાણસીથી ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી, પરંતુ છેલ્લી ઘડીએ સંસદીય બોર્ડે તેમના નામની જાહેરાત માત્ર વારાણસીથી જ કરી હતી.


પીએમ મોદી તમિલનાડુથી પણ ચૂંટણી લડી શકે છે. તેનું સૌથી મોટું કારણ દક્ષિણમાં કોંગ્રેસનો વધતો જતો જન આધાર અને તમિલનાડુમાં અલગ દ્રવિનાડુની માંગ છે. તમિલનાડુને અલગ દેશ બનાવવાની માંગનો દ્રવિડ આંદોલનના નેતાઓ વર્ષોથી વિરોધ કરી રહ્યા છે.


જો લડશે તો કઈ સીટ હોઈ શકે?


તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું હતું કે, રાજ્યની રામનાથપુરમ લોકસભા સીટના લોકો પણ પીએમની ચૂંટણી લડવાની ચર્ચા કરી રહ્યા છે, પરંતુ આ અફવા છે. 2019માં ભાજપ તમિલનાડુમાં 39માંથી એક પણ સીટ જીતી શકી નહોતી. 2014માં બીજેપીએ કન્યાકુમારી સીટ પર જીત મેળવી હતી.


આ સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, જો પીએમ મોદી ચૂંટણી લડે છે તો બીજેપી કન્યાકુમારી સીટ પર પસંદગી ઉતારી શકે છે. જોકે, હાલ તો આ માત્ર અટકળો છે. 2019માં ભાજપ તમિલનાડુમાં કોઈમ્બતુર, શિવગંગાઈ, રામનાથપુરમ, કન્યાકુમારી અને થૂથીકુદ્દી બેઠકો સહિત 5 બેઠકો પર બીજા ક્રમે રહી હતી. કન્યાકુમારી સિવાય વડાપ્રધાન આ ચારમાંથી કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


દક્ષિણનું રાજકીય સમીકરણ જેના પર ભાજપની નજર


દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં લોકસભાની કુલ 129 બેઠકો છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ એક બેઠક છે. આમ બેઠકોની કુલ સંખ્યા 130 થાય છે.


2019માં 303 બેઠકો જીતનાર ભાજપને આ 130 બેઠકોમાંથી માત્ર 29 જ મળી હતી જેમાં કર્ણાટકની 25 બેઠકોનો સમાવેશ થાય છે. દક્ષિણના 3 રાજ્યો (તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ)માં ભાજપનું ખાતું પણ ખોલાયું નથી.


સી-વોટરના સર્વે મુજબ જો હાલ જ ચૂંટણી થાય તો મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર જેવા રાજ્યોમાં ભાજપને ફટકો પડી શકે છે. આ સ્થિતિમાં પાર્ટી દક્ષિણના અન્ય રાજ્યોમાં જોરદાર લડત આપીને આ રાજ્યોમાં ઘટેલી બેઠકોની ભરપાઈ કરી શકે છે.


શા માટે માત્ર તમિલનાડુમાં જ ફોકસ? સમજો 2 પોઈન્ટ


તમિલનાડુની સરહદ દક્ષિણ ભારતના 3 રાજ્યોની સરહદને અડીને આવેલી છે. જેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે.


જયલલિતાના નિધન બાદ વિપક્ષ સાવ નબળો પડી ગયો છે. ભાજપ માટે પોતાના મૂળિયા જમાવવાની આ ઉત્તમ તક છે.


એ નેતાઓ કે જે દક્ષિણમાં જઈને ચૂંટણી લડ્યા...


1980માં સત્તામાં ફરી કમબેક કરવાનો પ્રયાસ કરી રહેલા ઈન્દિરા ગાંધીએ આંધ્ર પ્રદેશની મેડક બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણી તેમણે જંગી માર્જિનથી જીતી હતી.


સાસુના માર્ગ પર ચાલતા સોનિયા ગાંધીએ પણ 1999માં કર્ણાટકના બેલ્લારીથી ચૂંટણી લડી હતી. તેમની સામે ભાજપે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજને બેલ્લારી સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણીમાં સુષ્માનો પરાજય થયો હતો.


2019ની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ યુપીની અમેઠી બેઠક પરથી પણ ઉમેદવાર હતા, પરંતુ અમેઠીમાં તેમનો પરાજય થયો હતો.