ભોપાલ: મધ્યપ્રદેશના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. આજે વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ બાદ કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ હવે ફરી એક વખત રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખ્યો છે અને કહ્યું કે કાલ સુધીમાં ફ્લોર ટેસ્ટ કરાવો નહી તો માનવામાં આવશે કે તમારી સરકાર પાસે વિધાનસભામાં બહુમતી નથી.




આ પહેલા મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનને પત્ર લખીને કહ્યું કે તેમની પાર્ટીના ધારાસભ્યોને ભાજપ દ્વારા કર્ણાટક પોલીસના નિયંત્રણમાં બેંગલુરૂમાં બંદક બનાવી રાખવામાં આવ્યા છે અને આ પ્રકારની સ્થિતિમાં શક્તિ પરિક્ષણ કરાવવું અલોકતાંત્રિક અને અસંવૈધાનિક હશે.



મધ્યપ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ બાદ કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યપાલે પત્ર લખીને કહ્યું હતું કે મારા અભિભાષણ બાદ બહુમત પરિક્ષણ થાય. જેના પર કૉંગ્રેસનું કહેવું હતું કે રાજ્યપાલનું કામ સંદેશ આપવાનું છે, આદેશ નહી.

મધ્યપ્રદેશ વિધાનસભા 26 માર્ચ સુધી સ્થગિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ 106 ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ લાલજી ટંડન સામે પોતાની હાજરી નોંધાવી હતી. આ સાથે જ ભાજપના નેતાઓએ ભાજપ પાસે બહુમત હોવાનો દાવો કરતા રાજ્યપાલ પાસે શક્તિ પરિક્ષણ કરાવવાની માંગ કરી હતી.