નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજનીતિના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેમણે ભાજપનું સભ્યપદ લીધું હતું. જેપી નડ્ડાએ ફૂલ આપીને તેનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું. BJPમાં સામેલ થતાં જ જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપે રાજ્યસભા ટિકિટ આપી હતી. રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.


બીજેપીમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. જે બાદ તેણે કહ્યું, મારા જીવનમાં બે તારીખ મહત્વની છે. 30 સપ્ટેમ્બર 2001ના દિવસે મારા પિતાનું નિધન થયું હતું. જે દિવસે મારા પિતાનું અવસાન થયું તે જિંદગી બદલનારો દિવસ હતો. બીજી તારીખ 10 માર્ચ 2020 છે. આ દિવસે જીવનનો મોટો નિર્ણય લીધો હતો.  રાજનીતિનો મતલબ સેવા કરવી છે.


કોંગ્રેસ પાર્ટી પહેલા હતી તે આજે નથી. 2018માં જ્યારે મધ્યપ્રદેશમાં સરકાર બની ત્યારે એક સપનું હતું પરંતુ હવે તે તૂટી ગયું છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે વાયદા પૂરા નથી કર્યા. રાષ્ટ્રીય સ્તર પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ મને એક નવો મંચ આપવાનો મોકો આપ્યો છે.

પિતાની જયંતી પર જ છોડ્યો પંજો

જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાય સિંધિયાની મંગળવારે 75મી જયંતી હતી. વર્ષ 1993માં માધવરાય સિંધિયાની જ્યારે લાગ્યું કે કોંગ્રેસમાં તેમની ઉપેક્ષા થઈ રહી છે ત્યારે કોંગ્રેસને અલવિદા કહીને પોતાની અલગ પાર્ટી બનાવી લીધી હતી. મધ્ય પ્રદેશ વિકાસ કોંગ્રેસ પાર્ટી બનાવ્યા બાદ તેઓ ફરી પાછા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.

ઈતિહાસનું થયું પુનરાવર્તન

1967માં જ્યારે મધ્યપ્રદેશમાં ડીપી મિશ્રાની સરકાર હતી ત્યારે કોંગ્રેસથી ઉપેક્ષિત થઈને રાજમાતા વિજયરાજે સિંધિયાએ કોંગ્રેસ છોડી જનસંઘમાં સામેલ થઈ ગયા હતા અને જનસંઘની ટિકિટ પરથી ગુના લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી. વર્તમાન રાજકીય હલચલ વચ્ચે ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેના પિતા અને દાદાની જેમ કોંગ્રેસથી અલગ થવાની જાહેરાત કરી હતી.