નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજનીતિના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેમણે ભાજપનું સભ્યપદ લીધું હતું. જેપી નડ્ડાએ ફૂલ આપીને તેનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું. રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.


મારી જીવનમાં બે તારીખ મહત્વની

બીજેપીમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. જે બાદ તેણે કહ્યું, મારા જીવનમાં બે તારીખ મહત્વની છે. 30 સપ્ટેમ્બર 2001ના દિવસે મારા પિતાનું નિધન થયું હતું. જે દિવસે મારા પિતાનું અવસાન થયું તે જિંદગી બદલનારો દિવસ હતો. બીજી તારીખ 10 માર્ચ 2020 છે. આ દિવસે જીવનનો મોટો નિર્ણય લીધો હતો.  રાજનીતિનો મતલબ સેવા કરવી છે.

કોંગ્રેસે વાયદા નથી પૂરા કર્યા

કોંગ્રેસ પાર્ટી પહેલા હતી તે આજે નથી. 2018માં જ્યારે મધ્યપ્રદેશમાં સરકાર બની ત્યારે એક સપનું હતું પરંતુ હવે તે તૂટી ગયું છે. 10 દિવસમાં ખેડૂતોની ઋણ માફીની વાત કરવામાં આવી હતી પરંતુ તેમ થયું નથી. યુવાનોને રોજગારી મળી નથી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે વાયદા પૂરા નથી કર્યા.

મોદીને લઈ શું કહ્યું સિંધિયાએ ?

રાષ્ટ્રીય સ્તર પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ મને એક નવો મંચ આપવાનો મોકો આપ્યો છે. પીએમ જેવો જનાદેશ કોઈને મળ્યો નથી. તેમની અંદર કાર્ય કરવાની ક્ષમતા છે. તેમણે દેશનું નામ વિશ્વમાં રોશન કર્યુ છે.

સિંધિયાના કોંગ્રેસ છોડવાના ત્રણ કારણો

ભાજપમાં સામેલ થયા બાદ પત્રકાર પરિષદમાં સિંધિયાએ કોંગ્રેસ છોડવાના ત્રણ કારણ જણાવ્યા હતા. (1) કોંગ્રેસ પાર્ટી વાસ્તવિકતાનો સ્વીકાર કરતી નથી. (2) નવા નેતૃત્વને માન્યતા નથી મળી રહી (3) 18 મહિનામાં મધ્યપ્રદેશને લઈ જે સપના જોયા હતા તે પૂરી રીતે ચકનાચુર થઈ ગયા.

Madhya Pradesh Political Crisis: BJPમાં સામેલ થતાં જ જ્યોતિરાદિત્યને મળી રાજ્યસભા ટિકિટ