નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકોને વીડિયો કન્ફ્રેન્સથી સંવાદ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું. આ વખતે કોરોનાનું યુદ્ધ જીતવા માટે 21 દિવસ લાગશે. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ 21 દિવસોમાં દેશ કોરોના વાયરસ સામે યુદ્ધ જીતી લેશે.


પીએમ મોદીએ કહ્યું કે, “આજે કોરોના વિરુદ્ધ જે યુદ્ધ સમગ્ર દેશ લડી રહ્યો છે, તેમાં 21 દિવસ લાગશે. આપણો પ્રયત્ન છે કે 21 દિવસમાં જીતી લઈશું. ” તેમણે કહ્યું કે મહાભારત સમયે શ્રી કૃષ્ણ સારથી હતા આ વખતે 130 કરોડ મહારથી સાથે મળીને કોરોનાને હરાવીશું. તેનાથી બચવા માટે એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખવાની જરૂર છે.

જે તકલીફો આજે આપણે ઉઠાવી રહ્યા છીએ, જે મુશ્કેલીઓ આજે થઈ રહી છે, તેની ઉંમર હાલમાં 21 દિવસ સુધી છે, પરંતુ જો કોરોનાનું સંકટ સમાપ્ત નહીં થાય, વાયરસનું ફેલાવાનું નહી અટકે તો તેનાથી કેટલું મોટું નુકસાન થઈ શકે છે, જેનો આપણે અંદાજો પણ લગાવી શકતા નથી. એવામાં જ્યારે દેશ સામે મોટું સંકટ હોય, સમગ્ર દુનિયા સામે આટલો મોટો પડકાર હોય, ત્યારે મુશ્કેલી નહીં આવે, બધું સારુ થઈ જશે, એવું કહેવું પોતાની સાથે વિશ્વાસઘાત કરવા જેવું છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું, “કેટલીક જગ્યાએથી એવી ઘટનાઓની જાણકારી મળી છે કે, જેનાથી હ્રદયને ઠેસ પહોંચી છે. મારી તમામ નાગરિકોને અપીલ છે કે, ડોક્ટર, નર્સ કે મેડિકલ સ્ટાફ સાથે કોઈ ખરાબ વર્તન કરે તો તમે ત્યાં જઈને લોકોને સમજાવો. સંકટના આ સમયે હોસ્પિટલમાં જે સફેદ કપડામાં નજર આવી રહ્યાં છે તે ભગવાનનું રૂપ છે. આજ તે લોકો જ આપણને મૃત્યુથી બચાવી રહ્યાં છે. પોતાના જીવને જોખમમાં મૂકીને આપણું જીવન બચાવી રહ્યાં છે. ”

ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિને જોતાં 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત સંખ્યા વધીને 606 થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 43 લોકો રિકવર પણ થઈ ચુક્યા છે.