પણજીઃ ગોવામાં કોરોના વાયરસ સંક્રમણના મામલા વધવાની સાથે રાજ્યના કેટલાક હિસ્સામાં આ મહામારીથી બચવા ડોક્ટરોની સાથે લોકો ભગવાનનો સહારો લઈ રહ્યા છે. આ માટે મહામૃત્યુંજય મંત્રોચ્ચારથી લઈ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા 5900ને પાર કરી ગયા છે.


રાજ્યની સૌથી જૂની રાજકીય પાર્ટી મહારાષ્ટ્રવાજી ગોમાંતક પાર્ટી (એમજીપી)એ કહ્યું કે, તેમણે વૈશ્વિક મહામારી સામે ગોવાના મંદિરોમાં મહામૃત્યુંજય મંત્ર પાઠનું આયોજન કર્યુ છે. એમજીપી નેતા અને પાર્ટીના ધારાસભ્ય સુદીન ધાવલિકરે કહ્યું, રાજ્યના દરેક મંદિરમાં આ મંત્રનું એક લાખ વખત ઉચ્ચારણ કરાશે. શુક્રવારે ઉત્તર ગોવાના પોંડા તાલુકાના ધાવલી ગામના વામનેશ્વર મંદિરથી તેની શરૂઆત કરવામાં આવી છે.

રાજ્યના પૂર્વ મંત્રીએ કહ્યું, મહામૃત્યુંજય મંત્રમાં આપણી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાને ભગાવવાની શક્તિ છે. કોવિડ-19 આવી જ નકારાત્મક ઉર્જા છે, જેણે લોકોને પ્રભાવિત કર્યા છે. દક્ષિણ ગોવા જિલ્લાના સાંગુઅમ તાલુકાના નેત્રાવલી ગામના રહેવાસીઓ ભગવાન બેતાલ સતેરીના મંદિરમાં પૂજા અર્ચના કરી રહ્યા છે.

મંદિરના મુખ્ય પુજારી કુશ્તા વેલિપે કહ્યું, અમારું માનવું છે કે કોવિડ-19થી છૂટકારો મેળવવા ઈશ્વરના ચમત્કારની જરૂર છે.