મુંબઈઃ દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી દેશમાં કોરોનાના બે લાખ કરતાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે અને માત્ર ત્રણ જ દિવસમાં 3500થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાથી સૌથી વધુ ખરાબ હાલત ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતાં ગત સપ્તાહથી પ્રતિબંધો વધારે કડક કરવામાં આવ્યા છે તેમ છતાં સંક્રમણ નિયંત્રણમાં આવવાનું નામ નથી લઈ રહ્યું.


છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાનાં રેકોર્ડ 63,729 કેસ નોંધાયા છે, તો લગભગ 398 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ આંકડા રોગચાળાની શરૂઆત પછીના સૌથી વધુ છે. શુક્રવારે 63,729 કેસ નોંધાયા બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 37,03,584 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તો, 398 લોકોનું મોત થયા પછી, કોરોનાથી મૃત્યુઆંક વધીને 59,551 પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન, 45,335 લોકોને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, કુલ 30,04,391 લોકોએ વાયરસ સામેનાં યુદ્ધમાં વિજય મેળવ્યો છે, જ્યારે હાલમાં 6,38,034 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.


 દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8839 લોકો સંક્રમિત થયા અને 53 લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 5,61,998 લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે, તો કુલ 12,242 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં સંક્રમણમાંથી મુક્ત થયેલા 4,63,344 લોકોને રજા આપવામાં આવી ચુકી છે, જ્યારે, 85,226 લોકો સારવાર ચાલી રહી રહી છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,34,692 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1341 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,23,354 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 45 લાખ 26 હજાર 609


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 26 લાખ 71 હજાર 220


કુલ એક્ટિવ કેસ - 16 લાખ 79 હજાર 740


કુલ મોત - 1 લાખ 75 હજાર 649


 11 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 99 લાખ 37 હજાર 641 ડોઝ આપવામાં આવ્યા છે.