મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 18 હજારને પાર પહોંચી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે 1,362 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 18,120 પર પહોંચી છે.




કોરોના વાયરસના કારણે મુંબઈ પણ ખૂબ પ્રભાવિત થયું છે. શહેરના આર્થર રોડ જેલમાં 72 કેદી કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા છે. કેદીઓ સિવાય જેલના સાત કર્મચારીઓને પણ કોરોના સંક્રમણ થયું છે. આર્થર રોડ જેલમાંથી 200 સેમ્પલ લેવામાં આવ્યા હતા.



મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસના આજે 50 નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ ક્ષેત્રમાં કુલ કેસ વધીને 783 પર પહોંચ્યા છે. બીએમસીએ આ જાણકારી આપી હતી.

રાજેશ ટોપેએ પ્રવાસી મજૂરો માટે બનાવવામાં આવેલા નવા નિયમોની જાણકારી પણ આપી હતી. તેમણે કહ્યું જે પ્રવાસી મજૂર પોતાના મૂળ સ્થળ પર પહોંચવા માંગે છે, તેમણે હવેથી મેડિકલ સર્ટીફિકેટ લેવાની જરૂર નથી. તેમની માત્ર થર્મલ તપાસ કરવામાં આવશે. ડૉક્ટરોની ક્લીનિક બહાર મોટી લાઈનોથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રદેશમાં કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા માટે એક વીડિયો કૉન્ફ્રન્સના માધ્યમથી વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીના કાર્યાલયમાં એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક નેતાઓ અહીં મંત્રાલયમાં એકઠા થયા હતા જ્યારે મુખ્યમંત્રી ઠાકરે સહિત અન્ય નેતાઓએ વીડિયો કૉન્ફ્રન્સના માધ્યમથી બેઠકમાં ભાગ લીધો હતો.