વૉશિંગટન: કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે વિદેશોમાં ફસાયેલા હજારો ભારતીયોને પરત લાવવા કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન 7 મેથી શરૂ કરી દીધું છે. યોજના પ્રમાણે, 12 દેશોમાં ફસાયેલા 14,800 ભારતીયોને પરત લાવવા માટે બે એરલાઈન્સ સાત દિવસમાં 64 ફ્લાઈટ્સનું સંચાલન કરશે. અમેરિકાથી ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા 9 મેથી શરૂ થશે.


પ્રથમ તબક્કામાં 9થી 15 મે સુધી અમેરિકાના અનેક શહેરોમાંથી ભારતના અનેક શહેરો વચ્ચે કમર્શિયલ ફ્લાઈટની સેવા શરૂ કરાશે. ફ્લાઈટની સીટોની સંખ્યા સમિતિ હશે. તેથી પહેલા વિદ્યાર્થીઓ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો તથા જેઓના વીઝા ખતમ થવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

એક લાખ 90 હજાર ભારતીયોને કરાશે એરલિફ્ટ

ભારતનું આ ‘વંદે ભારત મિશન’ દુનિયાના સૌથી મોટા હવાઈ બચાવ કાર્યોમાંથી એક છે. આ દરમિયાન કુલ 1 લાખ 90 હજારથી વધુ ભારતીય નાગરિકોને આ એરલિફ્ટ ઓપરેશન હેઠળ પરત લાવવામાં આવશે તેવી આશા છે, જેઓએ એક તરફનું ફ્લાઈટનું ભાડુ આપવું પડશે.

સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)માં 7થી 13 મેની વચ્ચે ભારતીયોને લાવવા માટે 10 ઉડાનોને સંચાલિત કરશે. જ્યારે અમેરિકા માટે સાત, મલેશિયા માટે સાત અને સાઉદી અરબ માટે પાંચ ફ્લાઈટ્સ મોકલાશે. યાત્રીઓએ એક તરફી ભાડુ આપવું પડશે.