મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ જવા રહી છે. શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શપથગ્રહણ કાર્યક્રમ મુંબઈના શિવાજી પાર્કમાં યોજાશે.


મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો તેને લઈ આજે શિવસેના, એનસીપી, કોંગ્રેસના નેતાઓની વાયબી ચવ્હાણ સેન્ટરમાં માટિંગ મળી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરે, સુપ્રિયા સુલે, શરદ પવાર, અહમદ પટેલ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. આશરે ચાર કલાક સુધી આ બધા નેતાઓની મીટિંગ ચાલી હતી. જેમાં મંત્રીમંડળના વિસ્તરણન લઈ ચર્ચા થઈ હતી.


મીટિંગ પૂરી થયા બાદ પ્રફુલ પટેલે જણાવ્યું કે, કેટલા મંત્રીઓ શપથ લેશે તે આજે રાતે નક્કી થશે. દરેક પાર્ટીના એકથી બે ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે. ત્રણેય પાર્ટી દ્વારા સ્પીકર નક્કી કરી લેવામાં આવ્યા છે. સ્પીકર કોંગ્રેસના અને ડેપ્યુટી સ્પીકર એનસીપીનો હશે.

આ ઉપરાંત પ્રફુલ પટેલે એમ પણ કહ્યું કે, ગઠબંધન સરકારમાં એક જ નાયબ મુખ્યમંત્રી હશે અને તે એનસીપીનો હશે.ઉદ્ધવ ઠાકરે સીએમની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો પહેલાથી પ્રભાવ રહ્યો છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે સીએમની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય હશે. હાલ તેઓ ન તો ધારાસબ્ય છે કે ન તો વિધાન પરિષદના સભ્ય. તેમણે અત્યાર સુધીમાં ક્યારેય ચૂંટણી પણ નથી લડી. પરંતુ આગામી છ મહિનામાં તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું પડશે. મંગળવારે ઠાકરેને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતા પસંદ કરવામાં આવ્યા. જે બાદ તેમણે કહ્યું, મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે મુખ્યમંત્રી બનીશ.