મહારાષ્ટ્ર અને હરિયાણામાં મુખ્યમંત્રીઓએ સારુ કામ કર્યુઃ PM મોદી
abpasmita.in | 24 Oct 2019 09:05 PM (IST)
ભાજપ તમામને સાથે લઇને ચાલે છે અને તેનું પરિણામ હરિયાણા અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યું.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના હેડક્વાર્ટર પર પહોંચ્યા હતા. તેમણે ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું કે, મહારાષ્ટ્ર અને હરિયાણાની પ્રજાએ ભાજપ પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ માટે હું તેમનો આભાર માનું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દિવાળી અગાઉ પ્રજાએ આશીર્વાદ આપ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભાજપના મહારાષ્ટ્ર અને હરિયાણાના તમામ પદાધિકારીઓ, તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. તેમણે કહ્યું કે, ભાજપ તમામને સાથે લઇને ચાલે છે અને તેનું પરિણામ હરિયાણા અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. હરિયાણામાં ભાજપના મતની ટકાવારી 3 ટકા વધી છે. પાંચ વર્ષ સુધી દેવેન્દ્ર ફડણવીસ અને મનોહર લાલ ખટ્ટરે પોતાના રાજ્યોની સેવા સમર્પણ સાથે કરી અને હું તેની પ્રશંસા કરું છું. મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપને છેલ્લી ચૂંટણીમાં બહુમત મળ્યો નહોતો અને હરિયાણામાં ફક્ત બે બેઠકોથી બહુમત હતો. તેમ છતાં બંન્ને મુખ્યમંત્રીઓએ તમામને સાથે લઇને બંન્ને રાજ્યોમાં સેવા કરી અને સતત કામ કરતા રહ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં અમે સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યા છીએ અને આ માટે હું તમામનો આભાર માનું છું. મહારાષ્ટ્રમાં ફરીવાર પૂર્ણ બહુમતની સરકાર આવશે.