થાણે: મહારાષ્ટ્રના ડોંબિવલીમાં MIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે.  જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બપોરે 1.40 વાગ્યે અમુદાન કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 7 મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. 


વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો 


એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટને કારણે નજીકની ઈમારતોની કાચની બારીઓમાં તિરાડો પડી ગઈ હતી અને ઘણા મકાનોને પણ નુકસાન થયું હતું. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી યાસીન તડવીનું કહેવું છે કે બપોરે લગભગ 1.40 વાગ્યે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્ફોટ બાદ આગ નજીકની ત્રણ ફેક્ટરીઓમાં ફેલાઈ ગઈ હતી. આગ અને ધુમાડો દૂરથી જોઈ શકાતો હતો.


મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. જેમાં 7 લોકોના મોત થયા હતા. ઘણા લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. આ એક ખતરનાક વિસ્ફોટ હતો, તેમાં રેડ કેટેગરીના ખતરનાક એકમો છે, તેમને બહાર ખસેડવામાં આવશે. આ અંગે આ સંકુલના અનેક લોકોએ ફરિયાદ કરી છે. 


સીએમ શિંદેએ કહ્યું કે આ દુર્ઘટનાના દોષિતોને છોડવામાં આવશે નહીં. લોકોના જીવન સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ અકસ્માતની તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારોને સીએમ રિલીફ ફંડમાંથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.


બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ  પર પોસ્ટ કરી જાણકારી આપી છે કે આ મામલામાં આઠ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફડણવીસે લખ્યું, 'NDRF, TDRF અને ફાયર બ્રિગેડની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે.