મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વિધાયક દળના નેતા જયંત પાટીલે તેમની સાથે 51 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 51 ધારાસભ્યોની ચિઠ્ઠી લઈને રાજભવન ગયો હતો પરંતુ રાજ્યપાલ દિલ્હીમાં છે. હું અજીત પવાર સાથે મુલાકાત કરીને તેમને મનાવવાની કોશિશ કરીશ.

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભારતીય રાજનીતિનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. બીજેપીએ NCP નેતા અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી હતી. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના શપથ લેવરાવ્યા હતા, જ્યાર પવારે ડેપ્યુટી સીએમ પદ સંભાળ્યું હતું. આ બધા વચ્ચે શિવસેના સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને એનસીપી સુપ્રીમોએ કહ્યું, અમારી પારે પૂરતું સંખ્યાબળ છે અને સરકાર તો અમે જ બનાવીશું. સાંજે એનસીપીની બેઠકમાં અજીત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવાયા અને તેમના સ્થાને જયંત પાટિલને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

એનસીપીના વિધાયક દળના નેતા જયંત પાટિલે અજીત પવારને ઘરવાપસીનું આમંત્રણ આપતા કહ્યું કે, જે પાંચ ધારાસભ્યો અજીત પવાર સાથે છે તે બધા માટે પણ દરવાજા ખુલ્લા છે. જો તેઓ પરત આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જયંત પાટિલે કહ્યું, જ્યારે ફ્લોર ટેસ્ટ થશે ત્યારે દેવેન્દ્ર ફડણવીસની સરકાર પડી જશે. અજીત પવાર બીજેપી સાથે કેમ ગયા તે સમજમાં નથી આવતું.