મુંબઈ: સરકાર રચવાને લઈને મહારાષ્ટ્રમાં સતત ચિત્ર બદલાતું જોવા મળી રહ્યું છે. એક તરફ સોનિયા ગાંધી સાથે વાતચીત કર્યાં બાદ શિવસેનાના આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતાં. પરંતુ બીજી બાજુ કોંગ્રેસે પત્તા અકબંધ રાખતા કહ્યું હતું કે, હજુ સુધી કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપ્યું નથી.

સરકાર બનાવવાને લઈને છાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક બાદ કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, હજુ સુધી અમે શિવસેનાને સમર્થનનો પત્ર આપ્યો નથી. સોનિયા ગાંધી એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે ફરી વાત કરશે ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કર્યો હતો અને વાતચીત કરી હતી. બંને વચ્ચે અંદાજે 5 મીનિટ જેટલી વાતચીત ચાલી હતી. આ વાતચીત બાદ શિવસેના રાજ્યના રાજ્યપાલને મળવા પહોંચી હતી. શિવસેનાએ રાજ્યપાલ પાસે 48 કલાકનો સમય માંગ્યો છે. શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના સમર્થનના આધારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. પરંતુ કોંગ્રેસે હજુ પણ પોતાના પત્તા અકબંધ રાખતા શિવસેના કફોડી સ્થિતિમાં મુકાઈ છે.

કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, મેં સોનિયા ગાંધી સાથે વાતચીત કરી છે. હજુ પાર્ટીએ શિવસેનાને સમર્થનનો પત્ર આપ્યો જ નથી. તેમણે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે ફરી વાત કરશે અને ત્યાર બાદ જ શિવસેનાને સમર્થન આપવું કે કેમ તેમ તેનો નિર્ણય કરવામાં આવશે.