નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સીટિંગ કેપેસિટીની 50 ટકા ક્ષમતાથી આ ખોલી શકાશે. જેને લઈ સરકાર ટૂંક સમયમાં એસઓપી જાહેર કરશે.


આ દરમિયાન ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં પણ રાજ્ય સરકારે 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે હોટલ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને બારને 5 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  આ ઉપરાંત ડબ્બાવાળાને પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. આ માટે તેમણે મુંબઈ પોલીસ પાસેથી ક્યૂઆર કોડ લેવો પડશે.



દેશમાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના  2,60,789 એક્ટિવ કેસ છે. જ્યારે 10,69,159 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 36,181 લોકોના મોત થયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 80,742 કોવિડ-19 કેસ અને 1,179 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 62,25,764 કેસ છે, જેમાંથી 9,40,441 એક્ટિવ કેસ છે અને 51,87,826 ડિસ્ચાર્જ થઈ ગયા છે. ભારતમાં કોરોનાથી 97,497 લોકોના મોત થઈ ચુક્યા છે.