લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ ગેંગરેપ પીડિયાના પરિવાર સાથે વીડિયો કોન્ફ્રેસિન્ગ મારફતે વાત કરી હતી. તેની વચ્ચે સીએમ યોગીએ જાહેરાત કરી છે કે, પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ, પરિવારના એક સભ્યને નોકરી, એક સરકારી મકાન અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવશે.


યોગી આદિત્યનાથના આદેશ બાદ ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની એસઆઈટી ટીમ આ મામલે તપાસ કરશે. એસઆઈટીમાં દલિત અને મહિલા અધિકારી પણ સામેલ કરાયા છે.

આ પહેલા સીએમ યોગીએ કહ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના દોષિતોને છોડવામાં નહીં આવે. આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જે સાત દિવસમાં રિપોર્ટ સોંપશે. તાત્કાલિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, હાથરસ જિલ્લામાં 19 વર્ષીય એક દલિત યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ ઘટના 14 સપ્ટેમ્બરે ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. યુવતીનું ગળુ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેમની જીભ કાપી લેવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમા તમામ ચાર આરોપી પોલીસની ઘરપકડમાં છે. આ ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે.