મુંબઈઃ કોરોના વાયરસને લઈ હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનમાં લોકો ઘરની બહાર ન નીકળે તે માટે કેટલીક જગ્યાએ હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. પરંતુ મહારાષ્ટ્રમાં થાણે જિલ્લામાં સામાનની ડિલિવરી કરવા ગયેલા મુસ્લિમ વ્યક્તિ પાસેથી કથિત રીતે સામાન નહીં સ્વીકારવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો કશીમિરા વિસ્તારનો છે.


પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, તેમણે મંગળવારે ગજાનન ચતુર્વેદી નામના વ્યક્તિ સામે આઈપીસી કલમ 295 એ હેઠળ મામલો નોંધ્યો છે. વરિષ્ઠ નિરીક્ષક સંજય હજારેએ કહ્યું, મંગળવારે સવારે જ્યારે સામાન પહોંચાડવા ચતુર્વેદીના ઘરે ગયો ત્યારે તેનું નામ પૂછ્યું હતું. જ્યારે તે વ્યક્તિએ પોતાનું નામ જણાવ્યું તો ચતુર્વેદીએ કહ્યું કે, તે મુસલમાનના હાથે સામાન નહીં લે. પોલીસ અધિકારી આ મામલાની તપાસ કરી રહ્યા છે.

દેશમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21,393 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 681 લોકોના મોત થયા છે. જ્યારે 4257 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. ઉપરાંત 16454 એક્ટિવ કેસ છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતના 49 મામલા સામે આવ્યા છે.

સંક્રમણના કારણે દેશમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 269, ગુજરાતમાં 103, મધ્ય પ્રદેશમાં 80, દિલ્હીમાં 48, રાજસ્થાનમાં 27, આંધ્રપ્રદેશમાં 24, તેલંગાણામાં 23, ઉત્તરપ્રદેશમાં 21, તમિલનાડુમાં 18, કર્ણાટકમાં 17, પંજાબમાં 16, પશ્ચિમ બંગાળમાં 15, જમ્મુ-કાશ્મીરમાં પાંચ, કેરળ, ઝારખંડમાં 3-3,  બિહારમાં બે, મેઘાલય, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને આસામમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.