મુંબઈ: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે ભાજપના 15 ધારાસભ્યો મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના સંપર્કમાં છે. પરંતુ અમે વિપક્ષના નેતાઓને અમારી સરકારમાં સમાવવાની ભૂલ કયારેય નહીં કરીએ. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં 'ઓપરેશન લોટસ' હેઠળ કમલનાથ સરકારને ઉથલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જયંત પાટિલ એનસીપીના દિગ્ગજ નેતા છે. જયંત પાટિલને શરદ પવારની નજીકના માનવામાં આવે છે.


જયંત પાટિલે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રચવા માટે ખૂબજ તત્પર રહે છે. જયંત પાટિલે દાવો કરતા કહ્યું કે, 'ભાજપના 15 ધારાસભ્યો આજે પણ અમારા સંપર્કમાં છે. તેમની સાથે અમારા સારા સંબંધો છે જેથી અમે તેમના કામો કરીએ છે. તેમની માનસિકતાને પણ સમજીએ છે. પરંતુ ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ સારી વાત નથી. અમે આવી ભૂલ નહીં કરીએ. અમે અમારી સરકાર ટકી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તેમના 8 ધારાસભ્યોને ગુડગાંવ હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ પ્રયાસ કરાયો છે અને તેના થકી રાજયમાં કમલનાથ સરકારને ઉથલાવવાનો કારસો રચાઈ રહ્યો હોવાનો દાવો કરાયો હતો. જો કે ભાજપે કોંગ્રેસના આ દાવાને ફગાવી દીધો હતો.