નવી દિલ્હીઃ નિર્ભયાના ગુનેગારોને 20મી માર્ચે સવારે 5.30 વાગે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવષે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ નવું ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. દોષિતો પાસે હવે તમામ કાનૂની વિકલ્પ ખતમ થઈ ગયા છે.


આમ તો 3 માર્ચના રોજ સવારે 6 કલાકે ફાંસી થવાની હતી પરંતુ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના હત્યારાોની ફાંસી પર આગામી આદેશ સુધી મનાઈ હુકમ આપ્યો હતો. કોર્ટે આ હુકમ એ કારણે આપ્યો હતો કારણ કે નિર્ભયાના એક હત્યારા પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે વિચારાધીન હતી. કોર્ટનું માનવું હતું કે, રાષ્ટ્રપતિ ક્યારે દયા અરજી પર નિર્ણય કરશે તેના વિશે અંદાજ ન લગાવી શકાય, માટે દયા અરજી પર નિર્ણય આવ્યા બાદ જ નવું ડેથ વોરન્ટ બહાર પાડવામાં આવશે.


પ્રથમ ડેથ વોરન્ટ 7 જાન્યુઆરીએ જારી થયું તું. તે અંતર્ગત 22 જાન્યુઆરીએ ફાંસી થવાની હતી. એ ડેથ વોરન્ટ પર કાર્રવાઈ થાય એ પહેલા જ 17 જાન્યુઆરીએ એક નવું ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું કારણ કે નિર્ભયાના હત્યારા વિનયે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી કરી હતી. આ બીજા ડેથ વોરન્ટ પર પણ 1 ફેબ્રુઆરીએ મનાઈ હુકમ આવ્યો કારણ કે બાકીના 2 હત્યારા પવન અને અક્ષયની પાસે કાયદાકીય વિકલ્પ ઉપલબ્ધ હતા. ત્યાર બાદ ફરી એક વખત 17 ફેબ્રુઆરીના રોજ ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું. જેના પર ફરી એક વખત મનાઈ હુકમ આવ્યો. કારણ કે હત્યારા પવને રાષ્ટ્રપતિની પાસે દયા અરજી કરી હતી જેના પર નિર્ણય આવ્યો ન હતો.

2012ની છે ઘટના

દક્ષિણ દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ના રોજ ચાલુ બસમાં 23 વર્ષીય વિદ્યાર્થીની નિર્ભયા સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યા બાદ તેને બસમાંથી ફેંકી દેવામાં આવી હતી. સારવાર બાદ 29 ડિસેમ્બરે સિંગાપુરમાં માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.

કોણ છે ચારેય દોષી

મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ, પવન ગુપ્તા, રામ સિંહ અને એક કિશોર આ મામલે દોષી જણાયા હતા. રાષ્ટ્રપતિ મુકેશ, વિનય અને અક્ષયના દયા અરજી ફગાવી ચુક્યા છે. રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી અને કિશોરને સજા પૂરી થયા બાદ મુક્ત કરી દેવાયો હતો.