મુંબઇઃ મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ગરમાગરમી વધી ગઇ છે, હવે એનઆરસીના સપોર્ટમાં રાજ ઠાકરેની પાર્ટી ખુલ્લેઆમ સામે આવી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ જાહેરાત કરી છે કે, બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોની માહિતી આપનારાઓને પાંચ હજાર રૂપિયા ઇનામમાં મળશે. આને લગતા પૉસ્ટરો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં લગાવવામાં આવ્યા છે.


રાજઠાકરેએ ઔરંગાબાદમાં આને લગતા પૉસ્ટરો પણ લગાવ્યા છે અને પોતાની કેટલીય રેલીઓમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને બહાર કાઢવાની માંગ પણ કરી ચૂક્યા છે. પાંચ હજાર ઇનામ આપવાની જાહેરાતના પૉસ્ટરો હાલ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ મહિને એમએનએસના કાર્યકર્તાઓએ શહેર શહેર ફરીને ઘૂસણખોરોને પકડીને પોલીસના હવાલે પણ કર્યા હતા. 13 ફેબ્રુઆરીએ મનસેના કાર્યકર્તાઓએ મુંબઇના ડીબી માર્ગ, બોરિવલી, દહિસર, થાણે અને વિરારમાંથી 50થી વધુ બાંગ્લાદેશીઓને પકડીને પોલીસના હવાલે કર્યા હતા. હાલ પોલીસ આ લોકોની તપાસ કરી રહી છે.



ખાસ વાત છે કે આ વર્ષે જ 23 જાન્યુઆરીએ પોતાની પાર્ટીના પહેલા અધિવેશનમાં રાજ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે, પાર્ટી હવે હિન્દુત્વના આધારે જ આગળ વધશે. રાજ ઠાકરેએ પોતાની પાર્ટીનો નવો ઝંડો પણ અનાવરણ કર્યો હતો, સાથે પાર્ટીની નવી વિચારધારા અને દિશાના પણ સંકેત આપી દીધા હતા.