ગામલોકોએ ચોર હોવાની શંકામાં ત્રણ લોકોને ઢોર માર મારી હત્યા કરી, 100 લોકોની અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Apr 2020 04:38 PM (IST)
આ ઘટના એવા સમયે બની જ્યારે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ છે.
મુંબઈ :મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગામલોકોએ એક સમૂહને ચોર સમજી તેને ઢોર માર મારતા ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. કાસા પોલીસ સ્ટેશનના નિરીક્ષક આનંદરાવ કાલેએ કહ્યું કે આ ગંભીર ઘટના બુધવાર રાત્રે 9.30થી 10 વાગ્યા વચ્ચે બની હતી. આ ઘટના એવા સમયે બની જ્યારે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણેયની ઓળખ હજી સુધી નથી થઈ. તેમણે કહ્યું 100થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલઘરની સરકારી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ત્રણેય કારથી મુંબઈથી આવ્યા હતા અને તેમના વાહનને સ્થાનીક લોકોએ ગઢચિંચાલ પાસે ઢાબાડી-ખાનવેલ રસ્તા પર રોકી લીધા હતા. તેમણે જણાવ્યું કે તેમને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા અને ગામલોકોએ ચોર હોવાની શંકામાં તેમના પર પથ્થર અને અન્ય વસ્તુઓની હુમલો કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.