મુંબઈ : મહારાષ્ટ્રમાં આજે બહુમત પરીક્ષણ થશે. આ પહેલા કૉંગ્રેસે સ્પીકરના નામની જાહેરાત કરી દીધી છે. બાલાસાહેબ થોરાટે કહ્યું, સ્પીકર પદ માટે નાના પટોલેના નામ પર મહોર મારી છે.


ઉદ્ધવ સરકારે શનિવારે વિધાનસભાનું બે દિવસનું સત્ર બોલાવ્યું છે. આ દરમિયાન શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધનવાળી સરકાર ગૃહમાં બહુમત સાબિત કરશે. શિવેસના-એનસીપી અને કૉંગ્રેસ ગઠબંધનનો દાવો છે કે તેમની પાસે 162 ધારાસભ્યોનું સમર્થન છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત માટે જાદુઈ આંકડો 145 છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે.

એનસીપીના નેતા છગન ભુજબળે એક નિવેદન આપ્યું છે કે, આજે ફ્લોર ટેસ્ટ છે. અમે ગૃહમાં બહુમત સાબિત કરીશું. આ ફ્લોર ટેસ્ટને કારણે દેવેન્દ્ર ફડણવીસની સરકાર ગઈ હતી. આથી આ ખૂબ અગત્યનું છે. એનસીપી, કૉંગ્રેસ અને શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે.