NCP-MVA Divided over Bypoll : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર સળવળાટ શરૂ થયો છે. રાજ્યમાં પેટાચૂંટણીને લઈને મહાવિકાસ આઘાડી (MVA) ગઠબંધનમાં તિરાડ પડતી જણાઈ રહી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ ચિંચવડ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ઉદ્ધવ સેનાએ કહ્યું હતું કે, તે તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)દ્વારા પરંપરાગત રીતે લડવામાં આવતી સીટ પરથી ઉમેદવાર ઉભા કરવા માંગે છે. તો બીજી બાજુ એનસીપી પણ આ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છે છે. ચૂંટણી પંચે બુધવારે ચિંચવાડ મતવિસ્તાર અને શહેરમાં મતદાનની તારીખ એક દિવસ આગળ વધારી છે. હવે 27ને બદલે 26 ફેબ્રુઆરીએ મતદાન થશે.


ઉદ્ધવ સેનાના પ્રવક્તા સંજય રાઉતે આજે જણાવ્યું હતું કે, એમવીએ વિચારણા કરી રહ્યું છે કે તેણે કસ્બા અને ચિંચવડ બંને બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. જો કે શાસક પક્ષો (શિંદે સેના-ભાજપ) મહારાષ્ટ્રમાં (પેટાચૂંટણીઓ માટે) એક પરંપરાને આધારે બિનહરીફ ચૂંટણીની માંગ કરી રહ્યા છે, તેમ છતાં તેઓ (ભાજપ) પોતે જ ભૂતકાળમાં આ પરંપરાને અનુસરી નથી.


ઉદ્ધવ સેના ઉપરાંત એનસીપી આ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. ગયા અઠવાડિયે NCP નેતા અજિત પવારે સ્પષ્ટતા કરી હતી કે, પક્ષના નેતાઓ દ્વારા ચિંચવાડથી ચૂંટણી લડવાની માંગ વધી રહી છે. પાર્ટી 2009થી અહીંથી પોતાનો ઉમેદવાર ઉતારી રહી છે. જો કે, હવે જ્યારે ઉદ્ધવ સેનાએ આ સીટ પર દાવો કર્યો છે. જેથી એવી શક્યતા છે કે MVAમાં નવો વિવાદ ઉભો થઈ શકે છે. સંજય રાઉતે કહ્યું હતું કે, કોંગ્રેસ અને એનસીપીએ પરસ્પર રીતે જ નક્કી કરી લેવું જોઈએ કે કસ્બા સીટ પરથી કોણ ચૂંટણી લડશે. પરંતુ શિવસેના ચિંચવાડ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. જોકે અમે MVA મીટિંગ દરમિયાન અમારા મંતવ્યો રજૂ કરીશું.


કેમ યોજાઈ રહી છે પેટાચૂંટણી?


ચિંચવાડ અને કસ્બા પેઠ વિધાનસભા બેઠકોનું પ્રતિનિધિત્વ અનુક્રમે લક્ષ્મણ જગતાપ અને મુક્તા તિલક દ્વારા કરવામાં આવ્યું હતું. તિલકનું ગયા ડિસેમ્બરમાં અને જગતાપનું આ મહિનાની શરૂઆતમાં અવસાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 26 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાશે અને પરિણામ 2 માર્ચે જાહેર થશે. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી રચાયેલ MVA, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથ, શરદ પવારની આગેવાની હેઠળની NCP અને કોંગ્રેસનો સમાવેશ થાય છે.


ઉદ્ધવ સેના ચિંચવડ વિધાનસભા બેઠક પર દાવો કરી રહી છે કારણ કે તેના ઉમેદવાર રાહુલ કલાટેએ ભાજપના દિવંગત લક્ષ્મણ જગતાપને જોરદાર ટક્કર આપી હતી. લક્ષ્મણ જગતાપના અવસાનના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જોકે તે સમયે કલાટે અવિભાજિત શિવસેનાના ઉમેદવાર હતા. તેમણે બળવાખોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેમને એનસીપી અને કોંગ્રેસ બંનેનું સમર્થન મળ્યું હતું.


કલાટે ચૂંટણી લડવા તૈયાર


કલાટેએ પુષ્ટિ કરી હતી કે, ઉદ્ધવ સેના તેમને ચિંચવાડથી મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરી રહી છે. હા, મને પક્ષના નેતાઓનો ફોન આવ્યો કે શું હું ચિંચવાડ બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર છું? એમ તેમણે બુધવારે એક વાતચીતમાં જણાવ્યું હતું. મેં તેમને કહ્યું હતું કે, હું તેના માટે તૈયાર છું તેમ કલાટે જણાવ્યું હતું. 


2014ની વિધાનસભા ચૂંટણીમાં કલાટેને 65,000 વોટ મળ્યા હતા. 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમના મત બમણા થઈ ગયા અને તેમણે 1,28,000 મત મેળવ્યા હતાં. જો કે તેઓ જગતાપ સામે હારી ગયા હતા જેમણે 1,48,000 મત મેળવ્યા હતા. જોકે કલાટેએ ભાજપને જોરદાર ટક્કર આપી હતી. ભાજપ ચિંચવાડથી મેદાનમાં ઉતરવા માટે યોગ્ય ઉમેદવારની શોધમાં છે. જો કે પાર્ટી જગતાપના પરિવારના સભ્યોને પ્રાધાન્ય આપી રહી છે. મૃતક ધારાસભ્યના પરિવારે લક્ષ્મણના ભાઈ શંકરને કે તેમની પત્ની અશ્વિનીમાંથી કોને મેદાનમાં ઉતારવા તેને લઈને પત્તા અકબંધ જ રાખ્યાં છે. 


પુણે વિધાનસભા પેટાચૂંટણી લડવાની તરફેણમાં MVA નેતા - અજિત પવા


રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારે શનિવારે જણાવ્યું હતું કે, મહાવિકાસ અઘાડીના નેતાઓનું માનવું છે કે, પુણેની ચિંચવાડ અને કસ્બા પેઠ વિધાનસભા બેઠકોની આગામી પેટાચૂંટણીમાં MVA ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના તાજેતરના અવસાનના કારણે બંને બેઠકો ખાલી પડી હતી. ચિંચવાડના NCPના ઘણા પદાધિકારીઓએ મને કહ્યું હતું કે, અમારે પેટાચૂંટણી લડવાની જરૂર છે તેમ પવારે સોગઠી મારી હતી.