મુંબઈ: મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાની ભૂમિકાને લઈને માતોશ્રીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વાર 50-50ફોર્મ્યુલાની વાત કરી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓ સાથે થયેલી બેઠક પર વાત કરતા કહ્યું બંને દળો પાસે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રીનો કાર્યકાળ હશે. ઠાકરેએ કહ્યું બાકીના તમામ મહત્વપૂર્ણ મંત્રાલય અમને મળશે.
આ વખતે શિવસેનાએ મુખ્યમંત્રી પદને લઇને લેખિત આશ્વાસન માગ્યુ છે. શિવસેનામાં આદિત્ય ઠાકરેને CM બનાવવાની માગ ઉઠી રહી છે.


શિવસેનાની ટિકીટ પરથી સિલ્લોડથી જીતનાર મુસ્લિમ ધારાસભ્ય અબ્દુલ સત્તારે જણાવ્યું કે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. અબ્દુલ સત્તારે દાવો કર્યો છે કે ભાજપ અને શિવસેનાએ ગઠબંધન અગાઉ નક્કી કર્યું હતું કે રાજ્યમાં પહેલા 2.5 વર્ષ શિવસેનાનો મુખ્યમંત્રી હશે અને ત્યારબાદ બીજા 2.5 વર્ષ ભાજપના મુખ્યમંત્રી હશે.

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે પણ શિવસેનામાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ કરી છે. સરનાઇકે કહ્યું કે બધા શિવસૈનિક શિવસેનામાંથી જ મુખ્યમંત્રી ઇચ્છે છે. ચૂંટણી પહેલા 50-50ની ફોર્મ્યુલ્લા અંગે વાતચીત થઇ હતી. જો કે આ અંગે હવે ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે.