Bharat Jodo Yatra In Maharashtra: મહારાષ્ટ્રના પૂર્વ સીએમના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા છે. શુક્રવારે (11 નવેમ્બર) હિંગોલીમાં તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરી હતી. ગુરુવારે યાત્રાના 64માં દિવસે નાંદેડમાં રાહુલ ગાંધી સાથે NCP નેતા સુપ્રિયા સુલે પણ યાત્રામાં જોડાયા હતા. તેમની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને એનસીપી નેતા જીતેન્દ્ર અવ્હાડે પણ ભાગ લીધો હતો.


એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના હતા, પરંતુ તેઓ સ્વાસ્થ્યના કારણોસર તેમાં હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુરુવારે (10 નવેમ્બર) જણાવ્યું હતું કે તેઓ (પવાર)ને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરોની આરામ કરવાની સલાહને ધ્યાનમાં રાખીને તેઓ યાત્રામાં ભાગ લેશે નહીં.










ઉદ્ધવ જૂથે શું કહ્યું ?


ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ગુરુવારે (10 નવેમ્બર) કહ્યું કે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' કડવાશના વાતાવરણને ખતમ કરવા અને દેશને એક કરવા માટેનું આંદોલન છે. રાઉતે મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવારને તેમના ઘરે મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી.


ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે


કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. તમિલનાડુ બાદ આ પદયાત્રા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા થઈને મહારાષ્ટ્ર પહોંચી છે. આ યાત્રા રાજ્યની 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારોમાંથી પસાર થશે. આ દરમિયાન 382 કિમીનું અંતર કાપવામાં આવશે. આ યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે.