મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે અયોધ્યામાં રામ લલાના દર્શન કરશે પરંતુ કોરોના વાયરસના કારણે સુરક્ષાના કારણોસર સરયૂ નદી તટે યોજાતી આરતીમાં ભાગ નહીં લે. આ જાણકારી શિવસેના નેતા સંજય રાઉતે આપી છે.


સંજય રાઉતે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરે આવતીકાલે અયોધ્યાની મુલાકાત લશે. પરંતુ કોરોનાના કારણે આરતીમાં ભાગ લેશે નહીં. અગાઉ સંજય રાઉતે જણાવ્યું હતું કે, સીએમ ઠાકરે સાથે મહારાષ્ટ્ર મંત્રીમંડળના સભ્ય, કેટલાક સાંસદ અને ધારાસભ્યો પણ જશે. સાથે તેમણે કહ્યું હતું કે, તેમાં કોઈ રાજનીતિ નથી. ત્રણેય પક્ષના સમર્થનથી મહારાષ્ટ્ર સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ આધારે ચાલી રહી છે. શિવસેનાએ ના તો પોતાનો ચેહરો બદલ્યો છે ન આત્મા. અમારી સરકાર પ્રભુ રામના આદર્શ પર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ચીનના વુહાનથી શરૂ થયેલા ખતરનાક કોરોના વાયરસની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. હવે વિશ્વના 90 દેશો આ ખતરનાક વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. તાજા રિપોર્ટ પ્રમાણે ભારતમાં અત્યાર સુધી 31 મામલાની પુષ્ટી થઈ છે. કોરોના વાયરસના કારણે ઈન્દોર અને ભોપાલમાં યોજાનાર આઈફા એવોર્ડ પણ સ્થગતિ કરવામાં આવ્યો છે.

વિશ્વના દેશોમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને 3300ને પાર પહોંચી ગયો છે. માત્ર ચીનમાં જ 3 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. ચીનમાં ગંભીર રીતે રહેલા દર્દીઓની સંખ્યા હજુ પણ 6 હજાર જેટલી છે. ચીન સરકાર પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી.