મુંબઇઃ મહારાષ્ટ્ર દેશનું પહેલુ એવુ રાજ્ય બની ગયુ છે, જેમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા એક હજારથી વધુ થઇ ગઇ છે. રાજ્યમાં ઉદ્ધવ સરકાર લૉકડાઉનનુ કડક પાલન કરાવવા પુરતી કોશિશો કરી રહી છે, ત્યારે એક પરિવારે લૉકડાઉનના નિયમોની ધજ્જીયાં ઉડાવી છે. અહીં એક પરિવાર પાંચ ગાડીઓ ભરીને મહાબળેશ્વર ફરવા નીકળ્યો હતો. પોલીસે તમામ પર કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


મહારાષ્ટ્રમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે મુંબઇના જાણીતા બિઝનેસમેન વાઘવાન બ્રધર્સ લૉકડાઉનના નિયમોની ધજ્જીયાં ઉડાવી દીધી છે.

પ્રતિકાત્મક તસ્વીર

ઘટના એવી છે કે, વાઘવાન પરિવાર મુંબઇથી મહાબળેશ્વર પિકનિક મનાવવા પાંચ ગાડીઓ ભરીને 23 લોકો સાથે ફરવા પિકનિક મનાવવા નીકળ્યા હતા. ખાસ વાત છે કે તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી પાસ પણ આપવામાં આવ્યો હતો.

આ મામલે બેદરકારીને લઇને વિશેષ સચિવ અમિતાભ ગુપ્તાને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હવે આ મામલે રાજનીતિ તેજ થઇ જતા વિપક્ષે મહારાષ્ટ્રના ગૃહમંત્રીનુ રાજીનામુ પણ માગ્યુ છે.



નોંધનીય છે કે મુંબઇમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, મુંબઇમાં સંક્રમિતોની સંખ્યા વધીને 786 પર પહોંચી ગઇ છે, જે ચિંતાજનક છે. જ્યારે રાજ્યમાં આંકડો એક હજારને પાર પહોંચ્યો છે.