કલકત્તાઃ દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ શાંત નથી થયો. દેશમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળની મમતા સરકારે 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની મંજૂરી આપી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના સિનેમાઘરોને 100 ટકા દર્શકો સાથે શરુ કરવાની મંજૂરી આપી છે.


શુક્રવારે કોલકાતા ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન તેમણે જાહેરાત કરી કહ્યું કે ઝડપથી આ અંગેના નિર્દેશો પણ જાહેર કરવામાં આવશે. મમતા બેનર્જીએ કહ્યું કે અત્યાર સુધી કોરોના મહામારીના કારણે સિનેમાઘરોની અંદર ક્ષમતા કરતા 50 ટકા દર્શકોને મંજૂરી હતી. મેં આજે રાજ્ય સચિવને કહ્યું છે કે તેઓ સિનેમાઘરોને ફરી 100 ટકા દર્શકો સાથે શરુ કરવાનું નોટિફિકેશન જાહેર કરે.

આ સાથે તેમણે કહ્યું કે હું તમામ સિનેમાઘરોના માલિકોને અપીલ કરું છુ કે દર્શકો માસ્ક અને સેનેટાઇઝેશન જેવા કોરોના નિયમોનું પાલન કરે તેનું ધ્યાન રાખે. ઉપરાંત પ્રત્યેક શો બાદ સિનેમાઘરને સેનેટાઇઝ કરવામાં આવે.

મમતા બેનર્જીએ કહ્યું કે અત્યારે તો એવા મશીનો પણ આવી ગયા છે કે જેમની મદદ વડે તમે માત્ર પાંચ મિનિટની અંદર આખા હોલને સેનેટાઇઝ કરી શકાય છે. આ સિવાય દરેક દર્શક તેનું પોતાનું સેનેટાઇઝર અને ટિસ્યુ લઇને આવે તે પણ સુનિશ્ચિત કરવું પડશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ઇસ્ટર્ન ઇન્ડિયા મોશન પિક્ચર એસોસિએશન દ્વારા મમતા બેનર્જીને રાજ્યના સિનેમાઘરોમાં 100 ટકા દર્શકોને મંજૂરિ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.