mamata banerjee speech: તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા મોટા રાજકીય ભંગાણ અને બળવા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે 15 જુલાઈના રોજ પાર્ટીના વરિષ્ઠ નેતા મદન મિત્રાના રાજીનામા બાદ મમતા બેનર્જીએ બળવાખોર નેતાઓને 'દેશદ્રોહી' ગણાવ્યા છે. ભાજપ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે ભાજપ ઇચ્છે છે કે મને હાર્ટ એટેક આવે, પણ હું તેમને ખતમ થતા જોઈને જ રહીશ. આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેમણે પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીનો પણ મજબૂત બચાવ કર્યો છે.
નેતાઓના રાજીનામા અને મમતાનો ગુસ્સો
બુધવારે (15 જુલાઈ) TMC ના દિગ્ગજ નેતા અને કામરહાટીના ધારાસભ્ય મદન મિત્રાએ મમતા બેનર્જીના જૂથમાંથી પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેઓ વિપક્ષના નેતા ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બીજા બળવાખોર જૂથમાં જોડાઈ ગયા હતા. આ ઘટનાક્રમ બાદ મમતા બેનર્જી ભારે રોષમાં જોવા મળ્યા હતા. તેમણે પક્ષ છોડનારા નેતાઓને 'દેશદ્રોહી' કહીને તેમના વતી જનતાની માફી માંગી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે લોકો ડરના માર્યા TMC છોડવા માંગે છે, તેઓ ખુશીથી જઈ શકે છે.
"ભાજપનો અંત ન થાય ત્યાં સુધી હું જીવીશ"
મમતા બેનર્જીએ બીજેપી પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું, "ભાજપવાળા ઇચ્છે છે કે મને હાર્ટ એટેક આવી જાય, પરંતુ હું તેમને ખુલ્લા શબ્દોમાં કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભાજપનો અંત નહીં થાય ત્યાં સુધી હું જીવતી રહીશ." પાર્ટીમાં પડેલા ભાગલા બાદ તેમણે ભત્રીજા અભિષેક બેનર્જીની તરફેણ કરતા કહ્યું કે TMC પર હુમલો કરવા માટે અભિષેકને માત્ર એક "બહાના" તરીકે વાપરવામાં આવ્યો છે. મમતાએ જણાવ્યું કે અભિષેક અને તેના પરિવારના સભ્યોને વારંવાર પૂછપરછ માટે બોલાવાયા હતા, છતાં તેમણે ઝૂકીને કોઈ સમાધાન કરવાને બદલે રાજકીય લડાઈ લડવાનું જ પસંદ કર્યું છે.
આ પણ વાંચોઃ બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
નેતાઓ પક્ષ કેમ બદલી રહ્યા છે?
તાજેતરના અઠવાડિયામાં ઘણા વરિષ્ઠ નેતાઓ મમતા બેનર્જી પર તાનાશાહી અને ડરનો માહોલ ઉભો કરવાનો આરોપ લગાવીને પાર્ટી છોડી ચૂક્યા છે. તેના પર પલટવાર કરતા તેમણે કહ્યું, "મેં મારું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ક્યારેય મારો અંતરાત્મા વેચ્યો નથી." મમતાએ સીધો આરોપ લગાવ્યો કે ભાજપ તપાસ એજન્સીઓ અને પોલીસનો ડર બતાવીને TMC નેતાઓને પક્ષ બદલવા મજબૂર કરી રહી છે.
તેમણે દાવો કર્યો કે લોકસભા અને રાજ્યસભામાં હજુ પણ તેમની પાસે 18 સાંસદો અકબંધ છે. જે લોકો પોલીસના ડરથી ભાજપની "વોશિંગ મશીન" કે બળવાખોર જૂથ (જેને મમતાએ 'સેટિંગ કંપની' ગણાવી) માં જઈ રહ્યા છે, તેઓ માત્ર પોતાની જાતને બચાવવા આવું કરી રહ્યા છે. મદન મિત્રા અંગે કટાક્ષ કરતા તેમણે કહ્યું, "જે વ્યક્તિ આજે પાર્ટી છોડીને ગયા છે, તેમણે ગઈકાલે જ અમને કહ્યું હતું કે તેમને અને તેમના પરિવારને સમન્સ મળ્યા છે. બસ ત્યારે જ અમે સમજી ગયા હતા કે તેઓ ગમે ત્યારે પક્ષ બદલી નાખશે."
આ પણ વાંચોઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જીને આપી મોટી તક, શું TMC આ મોટા ભંગાણમાંથી બચી જશે?
